સોમવારે દુનિયાભરના સ્ટોક માર્કેટ ડાઉન થઈ ગયા છે. અમુક તો એવા ડાઉન થયા છે કે કળ વળતાં વાર લાગશે. આ બધું થયું છે એક વ્યકિતને કારણે. એ છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પે 14 જેટલા દેશો પર 20%થી લઈને 49% સુધી ટેરિફ લાદી દીધો છે. તો સામે આ 14 દેશોએ પણ અમેરિકા પર બદલો લેવા 39%થી લઈ 97% સુધી ટેરિફ નાખી દીધો છે. આનાથી વિશ્વના અર્થતંત્રમાં ભૂકંપ આવ્યો છે. આ બધું થયા પછી પણ ટ્રમ્પે એવું કહ્યું કે, ક્યારેક ક્યારેક કોઈ ચીજને ઠીક કરવા માટે દવા લેવી પડે છે. માર્કેટમાં ડાઉનફોલ એ મેડિસીન જેવો છે. અત્યાર સુધીમાં જ્યારે જ્યારે મંદી આવી છે તેના મૂળમાં તો અમેરિકા જ રહ્યું છે. નમસ્કાર, જીદે ભરાયેલા ટ્રમ્પ કોઈનું માનવા તૈયાર નથી. અલગ અલગ દેશો પર ટેરિફ પર ટેરિફ લાદવા લાગ્યા છે અને તેની સામે બીજા દેશો ખફા છે. બ્રિટને તો કહી દીધું કે, અમેરિકાથી આવતી જેગુઆર અને લેન્ડ રોવર જેવી કારનું શિપમેન્ટ અમે રોકીશું. બ્રિટનમાં નહીં આવવા દઈએ. ટ્રમ્પ પર દુનિયાના દેશોનું દબાણ છતાં એ ટસના મસ થતા નથી ને હવે હાલત એ થઈ છે કે અમેરિકાની અંદર તો ખરું જ, બીજા સાત-આઠ દેશોમાં ટ્રમ્પ વિરોધી રેલીઓ નીકળી રહી છે અને ટ્રમ્પ વિરોધી નારા લગાવાઈ રહ્યા છે. ભારતીય સ્ટોક માર્કેટ 4 જૂન, 2024 પછી પહેલીવાર નીચલા સ્તરે ગયું ભારતીય શેરબજારમાં (સોમવાર 7 એપ્રિલે) વર્ષનો બીજો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 2226 પોઈન્ટ (2.95%) ઘટીને 73,137 પર બંધ થયો. નિફ્ટી 742 પોઈન્ટ (3.24%) ઘટીને 22,161 પર બંધ થયો. અગાઉ 4 જૂન, 2024ના દિવસે બજારમાં 5.74%નો ઘટાડો થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં ઘટાડો થયો. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં 7% સુધીનો ઘટાડો થયો. ઝોમેટોના શેર 0.17% વધીને બંધ થયા. NSE ઈન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 6.75% ઘટ્યો. રિયલ્ટીમાં ૫.૬૯%નો ઘટાડો થયો. ઓટો, ફાર્મા, જાહેર ક્ષેત્રની બેંકો, તેલ અને ગેસ અને આઇટી ક્ષેત્રો 4% ઘટીને બંધ થયા. 2 એપ્રિલથી ક્રૂડ ઓઇલના ભાવમાં 12.11%નો ઘટાડો થયો છે. તો બ્રેન્ટ ક્રૂડ 4% ઘટીને 64 ડોલરની નીચે આવી ગયું છે. આ છેલ્લા 4 વર્ષમાં સૌથી નીચું સ્તર છે. અમેરિકાનું શેરબજાર કેટલું તૂટ્યું? છેલ્લા બે દિવસમાં અમેરિકાનું શેરમાર્કેટ તૂટીને વેરવિખેર થઈ ગયું છે. છેલ્લા બે દિવસમાં ડાઉજોન્સ 9% તૂટ્યો છે. નૈસ્કેડ બે દિવસમાં 11% તૂટ્યો છે. SP 9.30% જેટલું ઘટ્યું છે. અમેરિકાનું સ્મોલ કેપ ઈન્ડેક્સ છે – રસલ 5000 તે ઓલટાઈમ ડાઉન 35% તૂટી ચૂક્યું છે. સોના-ચાંદીમાં 4થી 8% ભાવ ઘટ્યા. એટલે અમેરિકામાં સોનું 3 હજાર ડોલર ઘટી ગયું. ડોલર ઈન્ડેક્સ 110 હતો તે સડસડાટ ઘટીને 102એ આવી ગયો. અમેરિકામાં સ્ટોક માર્કેટ ડાઉન થવાના 4 કારણો ટ્રમ્પ અને પોવેલ જીભાજોડી કરવા ઉતરી પડ્યા ભારતમાં બેન્કિંગ સિસ્ટમને કંટ્રોલ રાખવા જેમ RBI રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા છે તેમ અમેરિકામાં ફેડરલ રિઝર્વ સેન્ટ્ર્લ બેન્ક છે. આ ફેડરલ રિઝર્વના ચેરમેન જરોમ પોવેલ છે. પોવેલે એવું કહ્યું કે, ટ્રમ્પે ટેરિફ લગાવ્યો તેના કારણે મોંઘવારી અને બેરોજગારી વધશે. અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરે નહીં તે જોવાનું કામ ફેડરલ રિઝર્વનું છે. ફેડરલ રિઝર્વ પોતાની રીતે કામ કરે છે. તેમાં ટ્રમ્પ ફાચર મારે છે. ટ્રમ્પ મનમાની કરીને આડેધડ નિર્ણયો લે છે તેના કારણે અમેરિકાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જશે. તેની સામે ટ્રમ્પે પોવેલને આકરો જવાબ આપી દીધો છે. તેમણે કહી દીધું કે, ફાલતુ વાતો બંધ કરો. પોલિટિક્સ ન કરો. હું કરું છું એટલું ઘણું છે. તમે પહેલાં વ્યાજદર ઘટાડો. ટ્રમ્પની ટેરિફ વોર વિશે કોણે શું કહ્યું? ટેરિફ વોરના આંકડા પર એક નજર કરીએ… અમેરિકાએ EU પર ટેરિફ લાદ્યો : 20% EUએ અમેરિકા પર ટેરિફ લાદ્યો : 39% અમેરિકાએ જાપાન પર ટેરિફ લાદ્યો : 24% જાપાને અમેરિકા પર ટેરિફ લાદ્યો: 46% અમેરિકાએ મલેશિયા પર ટેરિફ લાદ્યો : 24% મલેશિયાએ અમેરિકા પર ટેરિફ લાદ્યો:47% અમેરિકાએ દ.કોરિયા પર ટેરિફ લાદ્યો : 25% જાપાને દ.કોરિયા પર ટેરિફ લાદ્યો: 50% અમેરિકાએ પાકિસ્તાન પર ટેરિફ લાદ્યો : 29% પાકિસ્તાને અમેરિકા પર ટેરિફ લાદ્યો: 58% અમેરિકાએ દ.આફ્રિકા પર ટેરિફ લાદ્યો : 30% જાપાને દ.આફ્રિકા પર ટેરિફ લાદ્યો: 60% અમેરિકાએ ઈન્ડોનેશિયા પર ટેરિફ લાદ્યો : 32% ઈન્ડોનેશિયાએ અમેરિકા પર ટેરિફ લાદ્યો: 64% અમેરિકાએ તાઈવાન પર ટેરિફ લાદ્યો : 32% તાઈવાન અમેરિકા પર ટેરિફ લાદ્યો: 64% અમેરિકાએ ચીન પર ટેરિફ લાદ્યો : 67% ચીને અમેરિકા પર ટેરિફ લાદ્યો: 34% અમેરિકાએ થાઈલેન્ડ પર ટેરિફ લાદ્યો : 36% થાઈલેન્ડે અમેરિકા પર ટેરિફ લાદ્યો: 72% અમેરિકાએ બાંગ્લાદેશ પર ટેરિફ લાદ્યો : 37% બાંગ્લાદેશ અમેરિકા પર ટેરિફ લાદ્યો: 74% અમેરિકાએ શ્રીલંકા પર ટેરિફ લાદ્યો : 44% શ્રીલંકા અમેરિકા પર ટેરિફ લાદ્યો: 88% અમેરિકાએ વિયેતનામ પર ટેરિફ લાદ્યો : 46% વિયેતનામે અમેરિકા પર ટેરિફ લાદ્યો: 90% અમેરિકાએ કંબોડિયા પર ટેરિફ લાદ્યો : 49% કંબોડિયાએ અમેરિકા પર ટેરિફ લાદ્યો: 97% ટ્રમ્પ અને મસ્કના વિરોધમાં દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન – હેન્ડ્સ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક મળીને દુનિયાને જાણે તબાહ કરવા નીકળ્યા છે એવી રીતે મનફાવે તેવી નીતિ લાગૂ કરવા લાગ્યા છે. ટ્રમ્પ અને મસ્કની સામે વિરોધ પ્રદર્શનોએ જોર પકડ્યું છે. આ વિરોધની શરૂઆત અમેરિકાથી જ થઈ હતી. અમેરિકામાં મોટાપાયે મોંઘવારી અને બેરોજગારીનો ભય ફેલાયો છે. આ ભય ખોટો પણ નથી. ટ્રમ્પ અને મસ્કના વિરોધમાં અમેરિકાના તમામ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. એકલા અમેરિકામાં જ 1400 રેલી નીકળી હતી. 6 લાખ લોકોએ રેલીમાં જોડાવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનને હેન્ડ્સ ઓફ નામ આપવામાં આવ્યું છે. હેન્ડ્સ ઓફનો અર્થ થાય છે- ‘અમારા અધિકારોથી દૂર રહો.’ માત્ર અમેરિકામાં જ નહીં, ટ્રમ્પના વિરોધમાં કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, મેક્સિકો, પોર્ટુગલ બધી જગ્યાએ રેલીઓ નીકળી રહી છે. ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ થઈ રહ્યો છે. જ્યારે જ્યારે મંદી આવી ત્યારે ત્યારે અમેરિકા જ જવાબદાર બન્યું 1929 : 23 ઓક્ટોબર 1929એ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ શેરનો ભાવ અચાનક 50 અબજ ડોલર સુધી નીચે ગયો હતો. એ પછી અમેરિકાએ જે નિર્ણયો લીધા તેની અસર બીજા દેશો પર બહુ ઊંડી પડી હતી. 1929માં પહેલા વિશ્વયુદ્ધ વખતે સૌથી મોટી સમસ્યા ઉધારની હતી. યુરોપીય સંઘ અને બ્રિટન જેવા દેશોએ અમેરિકા પાસેથી મોટા પાયે ઉછીના રૂપિયા વ્યાજે લીધા હતા. શરૂઆતમાં અમેરિકા ડાયરેક્ટ યુદ્ધમાં નહોતું પણ તેના મિત્ર દેશોને વ્યાજે રૂપિયા આપતું હતું. અમેરિકી ઉદ્યોગપતિઓને લાગ્યું કે, આપણે પૈસા તો આપીએ છીએ પણ પાછા ફરે તેવી સંભાવના લાગતી નથી એટલે એમેરિકાએ જાહેરાત કરી કે હવેથી તે કોઈ દેશને ઉધાર રૂપિયા નહીં આપે. અમેરિકાની આ જાહેરાતથી યુરોપની ઘણી બેન્કોને તાળાં મારવા પડ્યાં હતા. 1929ની જે મંદી આવી તેની સૌથી વધારે અસર અમેરિકાને થઈ હતી. બેન્કોએ જેમને લોન આપી હતી તેવા લોકો લોન ચૂકવવામાં અસમર્થ બન્યા. બેન્કોએ કાર, મકાન બધું જપ્ત કરવા માંડ્યું. 1929થી 1933 સુધીમાં 4 હજાર બેન્કો બંધ થઈ ચૂકી હતી. આ ચાર વર્ષના ગાળામાં 1 લાખ 10 હજાર કંપનીઓ બંધ થઈ ગઈ હતી. 1929માં આ મંદીની ચપેટમાં ભારત પણ આવી ગયું હતું. એ વખતે ભારત કૃષિ પ્રધાન દેશ હતો. ભારતે કૃષિ પેદાશોની નિકાસ કરવાનું શરૂ કરી દીધું હતું અને અન્ય માલની આવક ચાલુ કરી હતી. ત્યારે અંગ્રેજ રાજ હતું. ગ્લોબલ મંદીની અસર એ થઈ હતી કે ભારતના ઘઉંની કિંમત 50 ટકા જેટલી ઘટી ગઈ હતી. આનાથી ખેડૂતો અને અનાજના વેપારીઓને બેવડો માર પડ્યો હતો. ભાવ ઘટી ગયા હતા અને અંગ્રેજો લગામ પણ વધારે વસુલતા હતા. 1931માં મંદી તેની ચરમસીમાએ હતી. ભારતના ગામડાંમાં હાહાકાર હતો. શહેરમાં રહેતા જમીનદારોને કોઈ ફેર પડ્યો નહોતો કારણ કે તેમની આવક ફિક્સ હતી. 2008 : આ વર્ષમાં દુનિયામાં ભારે મંદી આવી હતી. ઘણી કંપનીઓએ દેવાળું ફૂક્યું હતું તો લાખો લોકોએ નોકરી છોડવી પડી હતી. આ મંદી કોઈ એક દેશમાં નહોતી. આખી દુનિયાની કમર તૂટી ગઈ હતી. અમેરિકા જેવો મજબૂત દેશ પણ એ વખતે આ મંદીનો સામનો નહોતો કરી શક્યો. એ વખતે પણ ગ્લોબલ મંદીની શરૂઆત અમેરિકાથી થઈ હતી. ઘણી બેન્કો ફડચાંમાં ગઈ. અમેરિકાની સૌથી મોટી વીમા કંપની AIG નાદારીના આરે પહોંચી ગઈ. અમેરિકાથી ગ્લોબલ મંદીએ માથું ઊંચક્યું જે આખી દુનિયામાં ફેલાઈ અને આ મંદીને ‘ધ ગ્રેટ રિસેશન’નું નામ આપવામાં આવ્યું. ભારતમાં પાંચ વખત મંદી આવી… જો આપણે GDP વૃદ્ધિના આંકડાઓ પર નજર કરીએ તો આઝાદી પછી ભારતમાં કુલ પાંચ મંદી જોવા મળી છે. આ 1958, 1966, 1973, 1980 અને 1991. 1991માં ભારતમાં ભયાનક મંદી આવી, એ જ મંદીએ ભારતનું મજબૂત અર્થતંત્ર બનાવ્યું… આ એ સમય હતો જ્યારે ભારત પાસે આયાત કરવા ત્રણ સપ્તાહની જ વિદેશી મુદ્રા બચી હતી. ડો. મનમોહન સિંહે આ સંકટને અવસરમાં બદલી નાખી. વિશ્વમાં મંદી ધીમા પગલે આવી રહી હતી. એવામાં 90ના દાયકામાં ખાડી યુદ્ધ છેડાઈ ગયું. ભારત પર સંકટના વાદળો ઘેરાયાં હતા. ભારત પાસે માત્ર અઢી અબજ ડોલરનો વિદેશી મુદ્રાનો ભંડાર બચ્યો હતો. તેનાથી ત્રણ સપ્તાહ સુધી જ માલની આયાત થઈ શકે તેટલી જ મુદ્રા હતી. આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સીઓએ ભારતનું રેટિંગ ઘટાડી દીધું એટલે વ્યાજે પૈસા લેવાનું અઘરું બની ગયું. 1991માં રાજકીય માહોલ પણ અસ્થિર હતો. ચંદ્રશેખરની ટેકાથી ઊભેલી સરકાર હતી. જે બજેટ પણ પાસ કરાવી નહોતી શકી. જ્યારે IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) પાસેથી વ્યાજે રૂપિયા લેવાની વાત ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસ સમર્થન પાછું લઈ લીધું. દેશમાં ચૂંટણી આવી. એવામાં રાજીવ ગાંધીની હત્યા થઈ. આનાથી દેશમાં રાજકીય અને આર્થિક સંકટ વધારે ઘેરું બન્યું. એવામાં ચૂંટણીઓ થઈ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બની. આ વખતે વડાપ્રધાન બન્યા પી.વી.નરસિમ્હા રાવ. તેમણે ડો. મનમોહન સિંહને નાણામંત્રી બનાવ્યા. ડો. સિંહ RBIના ગવર્નર હતા. ડો. સિંહે સાહસિક અને ઐતિહાસિક પગલાં લીધાં. સૌથી પહેલાં તેમણે રૂપિયાનું અવમૂલ્યન કર્યું. એટલે ડોલરની સામે રૂપિયાની કિંમતને 20% સુધી ઘટાડી દીધી. આ પગલાંથી નિકાસ વધી. ભારતે 47 ટન સોનું ગિરવે મૂકીને IMF પાસેથી રૂપિયા લીધા. ડો. સિંહે 1991નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું. તેમણે લાયસન્સ રાજ ખતમ કર્યું. આયાત પરની પાબંદીઓ દૂર કરી. વિદેશી રોકાણકારોને ભારતમાં 51% સુધી રોકાણ કરવાની છૂટ આપી. આ નિર્ણયોએ ઉદ્યોગોમાં નવા પ્રાણ ફૂંક્યા. ભારતીય માર્કેટમાં ઈન્ટરનેશનલ બ્રાન્ડ જેમ કે, કોકાકોલા, પેપ્સી અને મેકડોનાલ્ડની એન્ટ્રી થઈ. ટીવી, ટેલિકોમ અને એવિએશન સેક્ટરમાં પણ ક્રાંતિ આવી. આ દોર ભારતમાં આર્થિક મંદીનો ઐતિહાસિક અધ્યાય હતો અને પણ આ દોર એ હતો જેણે ભારતને આર્થિક રીતે સૌથી વધારે મજબૂત પણ કર્યું. એ વખતે ડોક્ટર મનમોહન સિંહે કહેલું કે, કોઈ ભી તાકત ઉસ વિચાર કો નહીં રોક સકતી, જિસકા સમય આ ચૂકા હૈ… છેલ્લે, મંદી અને મોંઘવારીના મારની શરૂઆત ભારતમાં થઈ ચૂકી છે. ભારત સરકારે પેટ્રોલ- ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 2 રૂપિયા વધારી દીધી છે. આનો બોજો સીધો પેટ્રોલિયમ કંપનીઓ પર આવશે. બીજું રાંધણગેસના બાટલામાં 50 રૂપિયા પણ વધારી દેવામાં આવ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતી કાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)