શિપ રીસાયકલિંગ અને શિપ મશિનરી વ્યવસાય ક્ષેત્રે સેન્ટ્રલ જીએસટી દ્વારા લાદવામાં આવેલા નવા નિયમોથી બંને ઉદ્યોગમાં સન્નાટો છવાયો છે. સ્ક્રેપની મશિનરીનું વર્ગિકરણ અને તે મુજબ GST HSN કોડમાં પરિવર્તિત કરવા બાબત મુશ્કેલી નોતરી રહી છે. અને હાલ નિકાસના ઓર્ડરો નવા નિયમોના સ્પષ્ટીકરણના અભાવે પેન્ડિંગમાં પડી રહ્યા છે. તા.1લી એપ્રિલથી સીજીએસટી દ્વારા અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજોમાંથી નીકળતી મશિનરી અને તેના સ્પેર પાર્ટ્સના બિલ બનાવતી વેળાએ માત્ર જુની, વપરાયેલી મશિનરી, મશિનરી પાર્ટ્સના હેડ તળે નિકાસ માટે અને ભારતમાં વેચાણ માટેના જીએસટી હેતુના બિલ બનાવવામાં આવે છે તેનો ઉલ્લેખ કરાતો હતો. આંગળીના વેઢે ગણી શકાય તેટલા ભેજાબાજો સ્ક્રેપની મશિનરીને રંગરોગાન કરી ચાલુ જૂની મશિનરીમાં ખપાવી અને જીએસટી રીફંડ મેળવવાના કૌભાંડ આચરવામાં આવતા હતા, આવા ભેજાબાજોને નાથવાને બદલે, સીજીએસટીએ તમામ શિપ મશિનરી ઉદ્યોગને જીણી જીણી બાબતના HSN કોડમાં વર્ગિકરણ બાબતે ફતવો બહાર પાડ્યો હતો. શિપ મશિનરી નિકાસકારોના મતે, અમારો માલ જ્યાંથી એક્સપોર્ટ થાય છે ત્યાં કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ જો વધુ જીએસટી હોય તો રીફંડના કાૈભાંડની શંકાએ માલ અટકાવે છે અને 18ટકામાં બિલ કરવા દબાણ કરે છે, જ્યારે 18ટકામાં બિલ બનાવીએ તો જીએસટી વાળા 28ટકાનો આગ્રહ રાખે છે, વ્યવસાયકારોની હાલત આગે કુઆ, પીછે ખાઇ જેવી છે. જો કે, નિકાસકારો 18 કે 28ટકા જીએસટી ભરપાઇ કરે તેઓને રિફંડ તો મળવાનું જ છે, પ્રશ્ન માત્ર વર્ગિકરણનો અને તેના મુજબ ખરીદી દર્શાવવાનો છે. માત્ર શિપ મશિનરી વ્યવસાયકારોને જ નહીં, પરંતુ સીજીએસટીનો નવો ફતવો શિપ રીસાયકલિંગના વ્યવસાયકારોને પણ એટલો જ લાગુ પડે છે. છેલ્લા 9 દિવસથી બંને વ્યવસાય અસમંજસતામાં ગરકાવ થયેલ છે. તંત્ર સમક્ષ આ બાબતે કાયમી અને યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆતો કરી રહ્યા છે. CGSTના પ્રકરણ 84 અથવા 85 તળે જૂની, વપરાયેલી મશિનરી અથવા મશિનરી પાર્ટ્સમાં તબદીલી લાવવામાં આવી છે. શિપ બ્રેકરોના મતે આખી મશિનરીનું વેચાણ થાય છે અને બિલ બનતુ હોય છે પરંતુ તે મશિનરીની અંદર ક્યા ક્યા પાર્ટ્સ છે તેનું વર્ગિકરણ અને બિલ બનાવવા, જુદા HSN કોડમાં વહેંચવાની બાબત અશક્ય છે. આ બાબતનું કાયમી નિરાકરણ લાવવું જરૂરી
સીજીએસટીમાં ભંગાણાર્થે આવેલા શિપની જૂની મશિનરી અંગે જે નવા કાયદા લાવવામાં આવ્યા છે, તેનાથી વ્યવસાય કરવો મુશ્કેલ બની ગયો છે. આ બાબતનું કાયમી નિરાકરણ લાવવું જરૂરી છે. અમારા અને શિપ બ્રેકિંગ એમ બંને વ્યવસાયને તેની દૂરોગામી અસરો થવાની શક્યતા છે, તેથી તેનું વ્યાજબી નિરાકરણ લાવવું જરૂરી છે. > રમેશભાઈ દોશી, પ્રમુખ, અલંગ શિપ મશિનરી એસો.