સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ લોનના વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી, હવે SBI પાસેથી તમામ પ્રકારની લોન લેવી સસ્તી થઈ ગઈ છે. હવે SBI હોમ લોનના વ્યાજ દર વાર્ષિક 8%થી શરૂ થશે. RBIએ તાજેતરમાં રેપો રેટ 6.25%થી ઘટાડીને 6.00% કર્યો છે. જે બાદ બેંકોએ પણ FD અને લોન પર વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે. આ પહેલા પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંકે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. હોમ લોન લેતી વખતે આ 3 બાબતો ધ્યાનમાં રાખો 1. પ્રી-પેમેન્ટ પેનલ્ટી વિશે ચોક્કસ જાણો
ઘણી બેંકો સમય પહેલાં લોન ચૂકવવા બદલ દંડ વસૂલ કરે છે. આવી સ્થિતિમાં, બેંકો પાસેથી આ વિશે સંપૂર્ણ વિગતો મેળવો, કારણ કે સમય પહેલાં લોન ચૂકવવા પર બેંકોને અપેક્ષા કરતા ઓછું વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં તેમના દ્વારા કેટલાક નિયમો અને શરતો લાદવામાં આવે છે. તેથી હોમ લોન લેતી વખતે આ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો. 2. તમારા CIBIL સ્કોરનું ધ્યાન રાખો
CIBIL સ્કોર વ્યક્તિનો ક્રેડિટ ઇતિહાસ દર્શાવે છે. વ્યક્તિગત લોનના કિસ્સામાં બેંકો ચોક્કસપણે અરજદારના CIBIL સ્કોર પર ધ્યાન આપે છે. ક્રેડિટ સ્કોર ઘણી વિશિષ્ટ ક્રેડિટ પ્રોફાઇલિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમાં, એ જોવામાં આવે છે કે તમે અગાઉ લોન લીધી છે કે પછી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કર્યો છે વગેરે. વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેના ચુકવણી ઇતિહાસ, ક્રેડિટ ઉપયોગ ગુણોત્તર, હાલની લોન અને બિલની સમયસર ચુકવણી દ્વારા નક્કી થાય છે. સ્કોર 300-900ની વચ્ચે હોય છે, પરંતુ 700 કે તેથી વધુનો સ્કોર ધિરાણકર્તાઓ દ્વારા સારો માનવામાં આવે છે. 3. ઑફર્સ પર નજર રાખો
બેંકો સમયાંતરે લોન લેનારાઓને વધુ સારી ઓફરો આપતી રહે છે. આવી સ્થિતિમાં લોન લેતા પહેલા તમારે બધી બેંકોની ઑફર્સ વિશે જાણી લેવું જોઈએ. કારણ કે ઉતાવળમાં લોન લેવી તમારા માટે ખોટું સાબિત થઈ શકે છે. લોન લેતા પહેલા યોગ્ય સંશોધન કરો.