વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈ હાઇરાઇઝ બિલ્ડીંગ ચેક કરવામાં આવી રહી છે, પરંતુ જર્જરિત ઇમારતો લોકોને જોખમી હોવા છતાં તેને તોડી પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે શહેરના અલકાપુરી વિસ્તારમાં રોડ પર આવેલી જર્જરિત બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ આજે સવારે ધરાશાયી થયો હતો. ઘટનામાં નીચે રોડ પર ઉભેલી રીક્ષાને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના સમયે રીક્ષચાલક તેમાં બેઠા હતા, પરંતુ સદનસીબે તેમને કોઇ ઇજાઓ પહોંચી નહતી. આ બિલ્ડિંગને એક વર્ષ અગાઉ સીલ મારવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું, છે પરંતુ તે તોડી પાડવાની કાર્યવાહી તંત્ર કરવામાં અનિષ્ફળ રહ્યું છે. ક્યારેક કોઈ નિર્દોષ નાગરિક ભોગ બને તેની તંત્ર રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. એક વર્ષ પહેલા જ તંત્ર દ્વારા બિલ્ડીંગને સીલ મારી દેવામાં આવ્યું
શહેરના અલકાપુરી વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે આવેલુ દર્પણ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. આ બિલ્ડીંગની હાલત જોઇને તેને એક વર્ષ પહેલા જ તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે અલકાપુરી વિસ્તારમાં પેટ્રોલ પંપની ગલીમાં રોડ પર ઉભેલી રીક્ષા પર બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં રીક્ષાને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે તેમાં બેઠેલા ચાલકનો આબાદ બચાવ થયો છે. આજે પણ ગલીમાં લવાહનોને ભારે અવર-જવર છે, તે વચ્ચે આ ઘટના સામે આવતા તંત્રએ ત્વરિત સુરક્ષાના પગલાં લેવા જોઇએ તેવી માગ ઉઠવા પામી છે. ‘રીક્ષામાં બેઠો હતો તે સમયે જ ઉપરથી ગાબડું પડ્યું’
આ અંગે રીક્ષાચાલકે જણાવ્યું કે, આ 10 વાગ્યાની આસપાસની ઘટના છે. ઘટના સમયે હું રીક્ષામાં જ બેઠો હતો અને ઉપરથી અચાનક રીક્ષા પર ગાબડું પડ્યું હતું. મને વાગ્યું નથી, મારી રીક્ષાને નુકસાન પહોંચ્યું છે. અહિંયા રીક્ષા સ્ટેન્ડ છે, એક વર્ષથી બિલ્ડીંગને સીલ મારી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાર બાદ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બિલ્ડીંગમાંથી મહિને બે મહિને ગાબડાં પડતા હોય છે. તંત્ર માત્ર નોટિસ ફટકારી સંતોષ માની રહી હોવાની ચર્ચા
અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ રોડ પરથી લોકો પસાર થાય છે. ક્યારેક મોટી દુર્ઘટનાની શક્યતા રહેલી છે જેથી તંત્રએ ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ. આ બિલ્ડીંગના રહીશો અને શોપીંગ વાળાઓએ એકત્ર થવાની જરૂર છે. ત્યારે શહેરમાં નિર્ભયતા શાખા દ્વારા અનેકવાર જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવે છે પરંતુ તેની સામે માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં.