રાજ્યમાં સૂર્યદેવતાનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે એટલે કે ગરમીના કારણે રાજ્યમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલોના કારણે રસ્તા પર લોકોને દોઢથી બે મિનિટ દરેક પોઇન્ટ પર ઊભા રહેવું પડતું હોવાના કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોની હાલાકીને ધ્યાનમાં લઇ અને હીટવેવની આગાહીને ધ્યાનમાં લઇ લોકો લૂથી બચી શકે એટલા માટે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. શહેરના 213 જેટલા સિગ્નલ બપોરે બંધ રખાયા
સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે કે, ઉનાળામાં હીટવેવની પરિસ્થિતિ તેને લઈ લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે એટલા માટે બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી સુરત શહેરના 213 જેટલા સિગ્નલ બપોરે બંધ રાખવામાં આવ્યા હતા. આ માહિતી સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતા વાનાણી દ્વારા આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સિગ્નલ બંધનો નિર્ણય આગામી અઠવાડિયા સુધી રહેશે. બે-બે મિનિટના અંતરે સિગ્નલો આવતા લોકો રસ્તામાં તાપમાં શેકાતા હતા
સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો નહીં પડે. કારણ કે સુરત શહેરમાં બે-બે મિનિટના અંતરે સિગ્નલો આવતા હોવાથી લોકોને ભરબપોરે તડકામાં 30 સેકન્ડથી લઈને બે મિનિટ સુધી સિગ્નલ અનુસાર દરેક પોઇન્ટ પર ઊભું રહેવું પડતું હતું. જોકે, હવે બપોરના એક વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી લોકોને સિગ્નલ પર ઉભા રહેવું નહીં પડે.