back to top
Homeગુજરાતટાઇફોઇડ-કમળાનાં કેસોમાં આંશિક ઘટાડો:રાજકોટમાં ગત સપ્તાહના 4-4 સામે ચાલુ સપ્તાહે 1-1 કેસ,...

ટાઇફોઇડ-કમળાનાં કેસોમાં આંશિક ઘટાડો:રાજકોટમાં ગત સપ્તાહના 4-4 સામે ચાલુ સપ્તાહે 1-1 કેસ, વિવિધ રોગનાં કુલ 1,179 કેસ નોંધાતા આરોગ્ય વિભાગે ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરી

રાજકોટમાં ઉનાળાની ભારે ગરમીને લઈને રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા માટે તૈયાર ન હોય તેમ સતત દસમા સપ્તાહે પણ મનપાનાં ચોપડે ટાઇફોઇડ અને કમળાનાં 1-1 કેસ સામે આવ્યા છે. જોકે ગત સપ્તાહના 4-4 દર્દીઓ સામે ચાલુ સપ્તાહે 1-1 કેસ સામે આવતા આંશિક ઘટાડો થયો છે. જ્યારે ઝાડા-ઉલટી અને સામાન્ય તાવ, શરદી-ઉધરસનાં મળી કુલ 1,169 કેસ છેલ્લા સપ્તાહમાં નોંધાયા છે. જેને પગલે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ક્લોરીનેશન વધારવા તેમજ પીવાનું અને ગટરનું પાણી મિક્સ ન થાય તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. ચાલુ સપ્તાહે વિવિધ રોગના 1179 કેસ નોંધાયા
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહે 1,362 સામે ચાલુ સપ્તાહે 1,179 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 438 કેસ, ઝાડા-ઉલટીનાં 172, સામાન્ય તાવનાં 567 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત નવમાં સપ્તાહે પણ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનો 1 કેસ અને કમળાનો પણ વધુ 1 કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો અને ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 5,000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવું જોઈએ- આરોગ્ય અધિકારી
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ઉનાળો શરૂ થતાં તાપમાનમાં વધારો થયો છે. આ વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાને તેમજ ક્લોરીનેશન ઓછું હોવાને કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે આ પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે મનપા દ્વારા હાલ ક્લોરીનેશન વધારવા તેમજ જે કોઈ સ્થળે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની ફરિયાદ આવે તો ત્યાં તરત જ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય લોકો પણ સાવધાની રાખે અને બહારના ઠંડા પીણાઓ પીવાનું બંધ કરે તે જરૂરી છે. હાલ માત્ર ઓર્ગેનિક જ્યુસ કે નાળિયર પાણીનું સેવન કરવાની અપીલ તેમણે લોકોને કરી હતી. મનપાએ ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરી
રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 14 એપ્રિલથી લઈને 20 એપ્રિલ સુધીમાં 17,965 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 265 જેટલા ઘરમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 542 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 142 તો કોર્મશીયલમાં 84 જેટલા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે. જોકે ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા, તેવા સ્થળે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments