back to top
HomeગુજરાતVS હોસ્પિ.માં ક્લિનિક્લ ટ્રાયલમાં 3નાં મોતનો આક્ષેપ:500થી વધારે દર્દીઓ પર ટ્રાયલ; AMCએ...

VS હોસ્પિ.માં ક્લિનિક્લ ટ્રાયલમાં 3નાં મોતનો આક્ષેપ:500થી વધારે દર્દીઓ પર ટ્રાયલ; AMCએ કહ્યું ક્લિનિકલ રિસર્ચની એથિકલ કમિટી બની નથી, પણ મારી પાસે MOUની કોપી: કોર્પોરેટર

અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ (VS) હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં 3નાં મોત થયાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કર્યો છે. 500થી વધારે દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવી હતી. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ રિસર્ચ મામલે કોઈ એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી પરંતુ મારી પાસે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા MOUની કોપી છે. જેમાં વીએસ હોસ્પિટલના ડીન ડો. પારુલ શાહની સહી પણ છે. ડો. દેવાંગ રાણાને NHL કોલેજના ડીન દ્વારા ક્લિનિકલ રિસર્ચ માટે નિમણૂક કરવામાં આવ્યા છે જેનો ઓર્ડર પણ છે. એક જ એકાઉન્ટમાં ક્લિનિકલ રિસર્ચના પૈસા જમા થાય તેની વિનંતી કરતો પત્ર ડો. દેવાંગ રાણાએ ડો. પારુલ શાહને લખ્યો છે
રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે જો વી.એસ.હોસ્પિટલની કોઈ એથિકલ કમિટી હતી જ નહીં તો પછી અમારી પાસે જે એમઓયુ છે જેમાં S4 રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરવામાં આવેલા છે. જેમાં વી.એસ. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.પારુલ શાહની સહી છે. ડો. દેવાંગ રાણાએ વી.એસ.હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને ઓક્ટોબર 2024માં પત્ર લખી અને એક જ સિંગલ એકાઉન્ટમાં ક્લિનિકલ રિસર્ચ માટેના પૈસા જમા થાય તેના માટેની વિનંતી કરતો પત્ર લખ્યો છે. ટ્રાયલના પૈસા આ બેન્ક એકાઉન્ટમાં આવે તેવું લખવામાં આવ્યું છે અને તેમાં પારુલ શાહની સહી પણ છે એટલે તેઓને આ બાબતની જાણ છે. ક્લિનિકલ રિસર્ચ માટે MOU કરવામાં આવેલા છે. જેમાં ડો. પારુલ શાહની સહી છે. જેથી ડો. પારુલ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ હતી. મોટાં પ્રમાણમાં કૌભાંડ છે અને હજી પણ ઘણું આવે તેમ છે. અત્યારે હાલમાં માત્ર 9 ડોક્ટરો સામે જ કાર્યવાહી કરવામાં આવી છે હજી પણ આ સમગ્ર કૌભાંડમાં અનેક લોકો સામેલ છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. કૌભાંડને છાવરવા ડો. દેવાંગ રાણાનો ભોગ લેવાયો
રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે વી.એસ.હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટથી લઈ તમામ અધિકારીઓને આ બાબતોની જાણ હતી. 500થી વધારે દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયું છે અને મારી જાણમાં આવ્યું છે ત્યાં સુધી ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થયા છે જે અંગે અત્યારે અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ. ક્લિનિકલ રિસર્ચ વિભાગના વડા ડો. દેવાંગ રાણાએ જાન્યુઆરી મહિનામાં પણ પત્ર લખ્યો હતો. ડો. દેવાંગને વી.એસ.હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહ અને ડો. ચેરી શાહ માનસિક હેરાન કરી રહ્યાં છે. તેઓના કૌભાંડને છાવરવા માટે ડો. દેવાંગ રાણાનો ભોગ લેવામાં આવ્યો છે. ખોટા વ્યક્તિને આશરો આપી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી આપવામાં આવી હતી તે સદંતર ખોટી આપવામાં આવી છે. વર્ષ 2021માં ફાર્માસિસ્ટ એક્સપર્ટ તરીકે ક્લિનિકલ ટ્રાયલ એન્ડ રિસર્ચમાં નિમણૂક આપી હતી
દિવ્ય ભાસ્કર પાસે જે પુરાવા આવ્યા છે તેમાં વર્ષ 2021માં NHL મેડિકલ કોલેજના ડીન ડો. પ્રતીક પટેલ દ્વારા કોલેજમાં ફાર્માકોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. દેવાંગ રાણાને હાલની કામગીરી ઉપરાંત અન્ય ઓર્ડર ન થાય ત્યાં સુધી વી.એસ. હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ એક્સપર્ટ તરીકે ક્લિનિકલ ટ્રાયલ એન્ડ રિસર્ચમાં કામગીરી કરવાની રહેશે. મેડિકલ કોલેજના ડીન દ્વારા 2021માં તેમને નિમણૂક આપવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2024માં ડિસેમ્બર મહિનામાં NHL મેડિકલ કોલેજના ડીન ડો. ચેરી શાહ દ્વારા તેમને આ કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ‘નાણાની વહેંચણી સુપરિન્ટેન્ડેન્ટના જ આદેશ મુજબ થઈ છે’
દેવાંગ રાણાએ ખુલાસો કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે મારી કામગીરી માત્ર ક્લિનિકલ રિસર્ચ ટ્રાયલ એગ્રીમેન્ટ મુજબ થયું છે કે નહીં તે અંગે જોવાની છે. કોઈપણ નાણાકીય વ્યવહારો કરવાની જવાબદારી મારી નથી. નાણાની વહેંચણી સુપરિટેન્ડેન્ટના જ આદેશ મુજબ થઈ છે. હોસ્પિટલમાં જેટલા પણ ટ્રાયલ કરવામાં આવ્યા છે તે તમામની માહિતી હોસ્પિટલના સુપરિન્ટેડેન્ટના જાણમાં મૂકવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ વી.એસ. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની જાણમાં જ થયાં છે. જે અંગેની ખરાઈ NHL મેડિકલ કોલેજના ફાર્મોકોલોજી વિભાગના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા દ્વારા કરવામાં આવી છે. જે પૈસા મારા ખાતામાં જમા થયા છે તે પૈસા મારા મહેનતાણાના પૈસા છે. તમામ એકાઉન્ટમાં હું જોઈન્ટ હોલ્ડર જ છું. ‘પારુલ પટેલની સહીથી MOU થયેલા છે’
રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે ડો. પારુલ પટેલની સહીથી MOU થયેલા છે. વી.એસ. હોસ્પિટલના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ મનીષ પટેલ અને ડો. પારુલ શાહને ક્લિનિકલ રિસર્ચ અંગે તમામ બાબતોની જાણ હતી. VSમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ
અગાઉ વી.એસ.હોસ્પિટલમાં કોઈ મંજૂરી વગર દર્દીઓ પર ક્લિનિક ટ્રાયલ કરી તેના પેટે મળેલા કરોડો પરિવાર કે પરિચિતોનાં બેંક એકાઉન્ટમાં જમા કરાતા હોવાનું કૌભાંડ વિજિલન્સ તપાસમાં પકડાયું છે. મ્યુનિ.એ હોસ્પિટલના ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટ ડૉ. દેવાંગ રાણાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 8 ડૉક્ટરને કાઢી મુકાયા છે. કૌભાંડના સૂત્રધાર ડૉ. મનીષ પટેલ નિવૃત્ત થઈ ગયા છે. ક્લિનિકલ ટ્રાયલ પ્રકરણમાં ટ્રાયલ કરનારા ડૉક્ટર અને જે સંસ્થામાં તે હાથ ધરાયું તેને ફાર્મા કંપનીઓ મોટી રકમ ચૂકવતી હતી. મ્યુનિ. હોસ્પિટલમાં આ પ્રકારના ટ્રાયલ માટે એથિકલ કમિટી જરૂરી છે. જોકે વી.એસ.માં ક્લિનિકલ રિસર્ચના નામે ગેરરીતિ કરાઈ હતી. એનએચએલના સુપરિન્ટેન્ડેન્ટ, વિજિલન્સ ડાયરેક્ટર સહિતની વિજિલન્સ તપાસ ટીમ બનાવાઈ હતી. પ્રાથમિક અહેવાલમાં ખોટી રીતે ટ્રાયલ કરી ગેરશિસ્ત અને નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું તારણ દર્શાવાતા કાર્યવાહી કરાઈ છે. છૂટા કરાયેલા કોન્ટ્રાક્ટ પરના ડૉક્ટર
ડો. યાત્રી પટેલ, સાયકિયાટ્રિસ્ટ
ડો. ધૈવત શુક્લ, મેડિકલ
ડો. રાજવી પટેલ, સ્કિન સ્પેશિયાલિસ્ટ
ડો. રોહન શાહ, ઇએનટી
ડો. કુણાલ સથવારા, સર્જિકલ
ડો. શાલીન શાહ, ડાયાબિટીસના ડોક્ટર
ડો.દર્શિલ શાહ, યુરોલોજિસ્ટ
ડો. કંદર્પ શાહ, કાર્ડિયોલોજિસ્ટ શું છે ક્લિનિકલ ટ્રાયલ
ફાર્મા કંપની દવાની શોધ કરે ત્યારે પહેલો પ્રયોગ પ્રાણીઓ પર થાય છે. તે સફળ થાય પછી મેડિકલ કાઉન્સિલની મંજૂરી બાદ માણસ પર ટ્રાયલ માટે હોસ્પિટલમાં મોકલાય છે. ડૉક્ટરની હાજરીમાં એક દર્દીને દવા આપી તેનાં પરિણામો નોંધાય છે અને અહેવાલ ફાર્મા કંપનીને મોકલાય છે. કાઉન્સિલ મંજૂર કરે પછી દવાનું ઉત્પાદન થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments