back to top
Homeબિઝનેસશરબત-જેહાદના VIDEO પર દિલ્હી હાઇકોર્ટની રામદેવને ફટકાર:કહ્યું- નિવેદન માફીપાત્ર નથી, અંતરાત્માને હચમચાવી...

શરબત-જેહાદના VIDEO પર દિલ્હી હાઇકોર્ટની રામદેવને ફટકાર:કહ્યું- નિવેદન માફીપાત્ર નથી, અંતરાત્માને હચમચાવી દીધો; રામદેવે કહ્યું- બધા વીડિયોઝ હટાવી લઈશું

દિલ્હી હાઇકોર્ટે મંગળવારે બાબા રામદેવ દ્વારા ‘શરબત-જેહાદ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલા વીડિયો પર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ અમિત બંસલે કહ્યું હતું કે આ નિવેદન માફ કરવા યોગ્ય નથી. આનાથી કોર્ટનો અંતરાત્મા હચમચી ગયો. કોર્ટના ઠપકા બાદ પતંજલિના સ્થાપક રામદેવે કહ્યું હતું કે અમે એવા બધા વીડિયો દૂર કરીશું, જેમાં ધાર્મિક ટિપ્પણીઓ કરવામાં આવી છે. કોર્ટે રામદેવને સોગંદનામું દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે. બાબા રામદેવે 3 એપ્રિલના રોજ પતંજલિ શરબત લોન્ચ કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે એક કંપની શરબત બનાવે છે. આનાથી મળતા પૈસાથી તે મદરેસા અને મસ્જિદો બનાવે છે. બાબા રામદેવે કહ્યું હતું કે જેમ લવ-જેહાદ અને વોટ-જેહાદ ચાલી રહ્યાં છે, એવી જ રીતે શરબત-જેહાદ પણ ચાલી રહ્યું છે. રૂહ અફઝા શરબત બનાવતી કંપની હમદર્દે આના વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કંપની વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલો રજૂ કરી. રોહતગીએ કહ્યું હતું કે આ ધર્મના નામે હુમલો છે. પતંજલિ શરબત લોન્ચિંગનો વીડિયો હાઇકોર્ટે કહ્યું- આવી વાતો તમારી પાસે રાખો, જાહેર ન કરો પતંજલિ વતી એડવોકેટ રાજીવ નાયરે કહ્યું હતું કે અમે બધા વીડિયો દૂર કરીશું. આ પછી કોર્ટે કહ્યું હતું કે રામદેવે એક સોગંદનામું આપવું જોઈએ કે તેઓ ભવિષ્યમાં આવાં નિવેદનો નહીં આપે. રામદેવે આવી વાતો પોતાના મગજ સુધી મર્યાદિત રાખવી જોઈએ અને એને જાહેર ન કરવી જોઈએ. હમદર્દે કહ્યું- રામદેવનું નિવેદન નફરતભર્યું રોહતગીએ કહ્યું હતું કે રામદેવે પોતાના નિવેદન દ્વારા ધર્મના આધારે હમદર્દ કંપની પર હુમલો કર્યો છે. તેમણે તેનું નામ શરબત-જેહાદ રાખ્યું. રામદેવનું નામ પ્રખ્યાત છે, તેઓ અન્ય કોઈ ઉત્પાદનની ખરાબ વાત કર્યા વિના પતંજલિ ઉત્પાદનો વેચી શકે છે. આ વિધાન દુષ્ટતાથી આગળ છે, એ ધાર્મિક ભાગલા પાડે છે. રામદેવની ટિપ્પણી નફરતભર્યા ભાષણ જેવી છે. રોહતગીએ ભ્રામક જાહેરાતોના કેસની યાદ અપાવી અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને લોકો પાસે માફી માગવાનો આદેશ આપ્યો હતો. રોહતગીએ કહ્યું હતું કે જાહેરાતો દ્વારા લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો અને એલોપેથિક દવાઓ વિરુદ્ધ નિવેદનો પણ આપવામાં આવ્યાં હતાં. રામદેવે શરબતના પ્રમોશન દરમિયાન બે નિવેદનો આપ્યાં હતાં 1. કંપની શરબતમાંથી મસ્જિદો અને મદરેસાઓ બનાવે છે 3 એપ્રિલના રોજ રામદેવે સોશિયલ મીડિયા X પર 10 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં રામદેવે પતંજલિ શરબતનો પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું- એક કંપની શરબત બનાવે છે અને એમાંથી મળતા પૈસાથી તે મદરેસા અને મસ્જિદો બનાવે છે. જો તમે એ શરબત પીશો તો મસ્જિદો અને મદરેસા બંધાશે. 2. જો તમે પતંજલિ શરબત પીશો તો ગુરુકુળ બનશે રામદેવે કહ્યું હતું કે જો તમે પતંજલિ શરબત પીશો તો ગુરુકુળ બનશે, આચાર્ય કુલમ બનશે. પતંજલિ યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ બોર્ડ આગળ વધશે. હું કહું છું કે આ શરબત-જેહાદ છે. જેમ લવ-જેહાદ અને વોટ-જેહાદ ચાલી રહ્યાં છે, એવી જ રીતે ‘શરબત-જેહાદ’ પણ ચાલી રહ્યું છે. વિવાદ વધતાં રામદેવે 12 એપ્રિલે બીજો એક વીડિયો પોસ્ટ કર્યો. આમાં રામદેવે કહ્યું, ‘મેં એક વીડિયો પોસ્ટ કર્યો, એનાથી બધા ગુસ્સે થયા. મારા વિરુદ્ધ હજારો વીડિયો બનાવવામાં આવ્યા. એવું કહેવામાં આવ્યું કે મેં શરબત-જેહાદનું નવું સૂત્ર આપ્યું છે. અરે, મેં શું છેડ્યું, આ તો પહેલેથી જ છે. આ લોકો લવ-જેહાદ, લેન્ડ-જેહાદ, વોટ-જેહાદ વગેરે જેવા અનેક પ્રકારનાં જેહાદ કરે છે. હું એમ નથી કહેતો કે તેઓ આતંકવાદી છે, પરંતુ એ વાત ચોક્કસ સાચી છે કે તેઓ ઇસ્લામ પ્રત્યે વફાદાર છે. શહાબુદ્દીન બરેલવીએ કહ્યું- બાબા રામદેવ યોગ-જેહાદ ચલાવી રહ્યા છે રામદેવના શરબત-જેહાદ વિવાદ પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ 14 એપ્રિલે કહ્યું હતું કે ‘રામદેવે શક્ય એટલો તેમના શરબતનો પ્રચાર કરવો જોઈએ, પરંતુ હમદર્દ કંપનીના રૂહ અફઝા શરબતને જેહાદ સાથે ન જોડવું જોઈએ.’ જો તેઓ ‘જેહાદ’ શબ્દના એટલા બધા પ્રેમી છે કે તેમણે લવ-જેહાદ, શરબત-જેહાદ, લેન્ડ- જેહાદ જેવા શબ્દો લખવાનું શરૂ કરી દીધું છે, તો પછી જો કોઈ પાછળ ફરીને યોગ-જેહાદ, ગુરુ-જેહાદ, પતંજલિ-જેહાદ કહે તો તેમને કેવું લાગશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments