ગુજરાતમાં દિનપ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી ખેડૂતોના જીવનમાં આર્થિક ખુશાલી લાવી રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવા સાથે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે. દેશના ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. આજે ઉચ્ચ શિક્ષણ મેળવેલ યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે આજે વાત કરવી છે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ખણસોલ ગામના જીતેન્દ્રભાઈ પટેલની. જીતેન્દ્રભાઈ પટેલ વ્યવસાયે સિવિલ ઈજનેર છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો પ્રયાસ
નાગરિકો રાસાયણિક ખેતીવાળા ધાન્ય તથા શાકભાજી ખાઈને કેન્સર જેવી અસાધ્ય બિમારીના સંકજામાં ફસાઈ રહ્યા છે. બસ આજ વાતની જાણકારીથી જીતેન્દ્રભાઈ પોતાની વડીલોપાર્જિત 15 વીધા જમીનમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી લોકોને સાત્વિક આહાર મળી રહે તે માટે ઝુંબેશ ઉપાડી, અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે. જીતેન્દ્રભાઈએ મ્યુચલ ફંડમાં લાંબા, ટૂંકાગાળાના રોકાણની જેમ પ્રાકૃતિક ખેતી કરવાની આગવી પદ્ધતિ અપનાવી છે. ખેતરમાં કમલમના 1000 પોલ ઉભા કર્યા
તેમણે બાગાયતી પાક કમલમના 1000 પોલ ઉભા કર્યા છે. એક પોલ પર 5 કિ.ગ્રા.જેટલા કમલમનું ઉત્પાદન મેળવે છે. જીતેન્દ્ર ભાઈએ આ સિઝનમાં એકંદરે પાંચ ટન જેટલા કમલમના ઉત્પાદન મેળવીને રૂપિયા 7.50 લાખની માતબર કમાણી કરી છે. આગામી ત્રણ વર્ષમાં એક પોલ પર 25 થી 30 કિ.ગ્રા જેટલા કમલમનું ઉત્પાદન થશે અને ભવિષ્યમાં સારી એવી કમાણી થશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. તેઓ કહે છે કે, જેમ મ્યુચલ ફંડમાં શોર્ટ ટર્મ, મીડ ટર્મ અને લોન્ગ ટર્મ એમ ત્રણ પ્રકારના રોકાણનો કોન્સેપ્ટ છે, તેમ પ્રાકૃતિક ખેતીમાં પણ તેમને શોર્ટ ટર્મ માટે શાકભાજી, મીડ ટર્મ માટે બાગાયતી પાકમાં કમલમ (ડ્રેગન ફ્રૂટ), લોન્ગ ટર્મમાં એગ્રો ફોરેસ્ટ્રીમાં સફેદ ચંદનનું વાવેતર કર્યું છે. રાજ્યપાલ લિખિત પુસ્તકમાં જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતી પધ્ધતિને અનુસરી
જીતેન્દ્રભાઈ પોતાની આ સફળતાનો સમગ્ર યશ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આપતા જણાવે છે કે, રાજ્યપાલ લિખિત પુસ્તકમાં જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતી પધ્ધતિને અનુસરીને તથા આત્મા, આણંદ દ્વારા મળેલ તાલીમ અન્વયે પ્રાકૃતિક ખેતી પધ્ધતિ કરવાની શરૂઆત કરી છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિના ફાયદા જણાવતા તેઓ કહે છે કે, જમીનની ચકાસણી કરાવતા તેમની જમીનમાં કાર્બનનું પ્રમાણમાં વધારો થવા સાથે જમીનમાં ક્ષારનું પ્રમાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નજીવા ખેતી ખર્ચ સાથે પાકનું વધુ ઉત્પાદન પણ મળ્યું છે. જીતેન્દ્રભાઈએ પોતાના ખેતરમાં ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ અપનાવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા 60 થી 70 ટકા સબસીડી પેટે સહાય મળી છે. કમલમની બાગાયતી ખેતી માટે બાગાયત ખાતામાંથી યોજનાકીય સહાય મળી છે.