રાજકોટ મનપાનાં 34માં કમિશનર તરીકે નવનિયુક્ત તુષાર સુમેરાએ આજે ચાર્જ સંભાળ્યો હતો. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં હું મોટો થયો છું અને મારું જાણીતું શહેર છે. અહીં મ્યુ. કમિશનર તરીકેની જવાબદારી મળવી મારૂ સદભાગ્ય છે ત્યારે લોકોના પ્રશ્નોને હલ કરવા પૂરતો પ્રયાસ કરીશ. રાજકોટમાં પ્લાન પાસ અને બાંધકામ પરવાનગી સહિત દરેક ચેલેન્જને સ્વીકારીને કામગીરી ઝડપી કરવા પ્રયાસ કરાશે. અધૂરી કામગીરી ઝડપથી પૂરી કરવા પ્રયાસ કરશે
પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં પૂર્વ મ્યુ. કમિશનર ડી.પી. દેસાઈની ઔડામાં બદલી થતા તુષાર સુમેરાને રાજકોટ મૂકાયા છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર સુમેરાનું શિક્ષણ રાજકોટમાં થયું છે અને તેઓ 2012 ગુજરાત કેડરના IAS અધિકારી છે ત્યારે રાજકોટ તેમની કર્મભૂમિ બનતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો અને રાજકોટની પ્રાથમિક સુવિધાનું નિરાકરણ કરવાના પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી તેમજ સૌપ્રથમ તમામ અધિકારીઓ સાથે બેઠક કરી અટકેલી કામગીરી ઝડપથી આગળ વધારવા પ્રયાસ કરવાનું જણાવ્યું હતું. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું
મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં હું મોટો થયો છું. આ મારૂ જાણીતું શહેર છે. મ્યુ. કમિશનર તરીકે લોકોના તમામ નાના-મોટા પ્રશ્નો ઉકેલવા માટે મારો પ્રયત્ન રહેશે. આજે હું સર્કિટ હાઉસથી અહીં આવ્યો તો થોડા મીટરમાં મારી સ્કૂલ આવી હતી. તેમજ મારા ગામ જતો ત્યારે બસમાં જતો હોવાને કારણે આ કોર્પોરેશન કચેરી અનેકવાર રસ્તામાં આવતી હતી. ત્યારે હવે રાજકોટમાં આ મહત્વની જવાબદારી મળી તે માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. દરેક તબક્કામાં ચેલેન્જ સ્વીકારીને કામગીરી કરવામાં આવશે
કોઈપણ વ્યક્તિ માટે IAS બનવું એ સ્વપ્ન હોઈ શકે છે. તેમાં પણ જે ભૂમિ ઉપર ભણ્યા કે મોટા થયા હોય ત્યાં કમિશનર બનવું એ ખરેખર ભગવાનની કૃપા છે. દરેક સ્થળે કાંઈક ને કાંઈક ચેલેન્જ હોય છે. સાથે-સાથે કામ કરવાની તકો પણ હોય છે. અગ્નિકાંડ બાદ પ્લાન કમ્પ્લીશન અને બાંધકામ પરવાનગીની ધીમી કામગીરી અંગે તેમણે જણાવ્યું કે, હું અધિકારીઓ સાથે બેઠક યોજી કામ વધુ ઝડપથી કરવા શું કરી શકાય તે માટેના બનતા પ્રયાસો કરીશ. દરેક તબક્કામાં ચેલેન્જ સ્વીકારીને કામગીરી કરવામાં આવશે. આ માટે મારાથી જે કોઈપણ પ્રયાસ થશે તે કરવાની ખાતરી આપું છું. તમામ અધિકારીઓ ભયમાં કામ કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, TRP અગ્નિકાંડ સમયે આનંદ પટેલ મ્યુ. કમિશનર હતા. જોકે, અગ્નિકાંડ બાદ તરત જ તેમને હટાવી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને દેવાંગ દેસાઈની નિમણુંક કરવામાં આવી હતી. જોકે, તેઓના કાર્યકાલ દરમિયાન બાંધકામ, ટી.પી. શાખાની કામગીરી અટકી ગઈ હોવાના આરોપો લાગ્યા હતા. જેને કારણે હવે તેમના સ્થાને તુષાર સુમેરાને આ જવાબદારી સોંપવામાં આવી છે. હાલ તમામ અધિકારીઓ ભયમાં કામ કરી રહ્યા છે ત્યારે તુષાર સુમેરા ફરીથી પરિસ્થિતિ સામાન્ય કરવામાં કેટલા સફળ થશે તે આવનારો સમય જ બતાવશે.