ડો. મનમોહન સિંહ એવા વડાપ્રધાન, જે કાયમ રાજકારણના વિવાદોથી દૂર રહ્યા છે, હવે તેમના નામે જ વિવાદો થઈ રહ્યા છે. વાત એમ છે કે કોઈપણ વડાપ્રધાનનું અવસાન થાય એટલે તેમના અંતિમસંસ્કારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરે છે અને મોટે ભાગે વડાપ્રધાનોના અંતિમસંસ્કાર રાજઘાટ પર જ થયા છે, પણ ડો. મનમોહન સિંહના અંતિમસંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ નામના સાર્વજનિક સ્મશાનમાં જ કરવામાં આવ્યા અને કોંગ્રેસને એનો વાંધો પડ્યો છે, સાથે ડો. મનમોહન સિંહનું સ્મારક બનવું જોઈએ, એવી માગણી કોંગ્રેસ સિવાયના પક્ષો પણ કરી રહ્યા છે. નમસ્કાર, ડો. મનમોહન સિંહ મુદ્દે ભાજપ પર ભીંસ વધી છે. કેન્દ્ર સરકારે રાજઘાટ પર તેમના અંતિમસંસ્કાર ન કરાવીને તેમનું અપમાન કર્યું હોવાનો આરોપ વિપક્ષો કરી રહ્યા છે. ભાજપે સ્મારક માટે ના તો નથી પાડી, પણ એવું કહ્યું છે કે આમાં ટાઈમ લાગશે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર ડો. મનમોહન સિંહના રાજકીય જીવન પર બનેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નો વિવાદ ચાલ્યો છે. ડો. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ શું છે?
26 ડિસેમ્બરે ડો. મનમોહન સિંહનું નિધન થયું, એના બીજા દિવસે 27 ડિસેમ્બરે કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે મનમોહન સિંહના અંતિમસંસ્કારની એવી જગ્યા માગી હતી, જ્યાં સ્મારક બનાવી શકાય. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મનમોહન સિંહનાં પત્ની ગુરશરણ કૌર પણ આ જ ઈચ્છતાં હતાં. પ્રિયંકા ગાંધીએ શક્તિ સ્થળ (ઇન્દિરા ગાંધીનું સ્મારક) અથવા વીરભૂમિ (રાજીવ ગાંધીનું સ્મારક) નજીક ડો. સિંહનું સ્મારક બનાવવાનું સૂચન કર્યું હતું. આ અંગે ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ‘અંતિમસંસ્કાર માટે નિગમબોધ ઘાટ સ્મશાનની પસંદગી કરવામાં આવી છે, પણ ડો. સિંહનું સ્મારક દિલ્હીમાં બનાવવામાં આવશે. આ માટે યોગ્ય જગ્યા શોધીને ટ્રસ્ટની રચના કરવામાં આવશે. આ બધી પ્રક્રિયામાં સમય લાગશે. કોંગ્રેસે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમસંસ્કાર પણ રાષ્ટ્રીય સ્મારક સ્થળ રાજઘાટ પર કરવામાં આવ્યા હતા. 25 ડિસેમ્બર 2018ના રોજ રાજઘાટ પર 1.5 એકર જમીન પર અટલ બિહારી વાજપેયીનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. તો ડો. મનમોહન સિંહના અંતિમસંસ્કાર રાજઘાટ પર કેમ ન કર્યા? આ વિવાદ પર ભાજપનું શું કહેવું છે?
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કહ્યું છે કે જમીન સંપાદન, ટ્રસ્ટની રચના જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જે પણ સમય લાગશે, પણ સ્મારકનું કામ યોગ્ય રીતે અને ઝડપથી થશે, ટૂંક સમયમાં કરવામાં આવશે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. આજે દુ:ખની આ ઘડીમાં રાજકારણથી દૂર રહેવું જોઈએ. ભાજપ નેતા સીઆર કેસવનનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુપીએ સરકારે ક્યારેય દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવનું કોઈ સ્મારક બનાવ્યું નથી. રાવના પાર્થિવદેહને કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પણ રાખવામાં આવ્યો નહોતો. આપણો દેશ કોંગ્રેસનાં ઐતિહાસિક પાપોને ક્યારેય ભૂલી શકશે નહીં. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય ડો.મનમોહન સિંહને સન્માન આપ્યું નથી. વડાપ્રધાન તરીકે ડો. મનમોહનને ક્યારેય સ્વતંત્ર સત્તા મળી નથી. કોંગ્રેસે હંમેશાં તેમની સાથે ભેદભાવ કર્યો છે. મનમોહન સિંહનું સ્મારક સંજય ગાંધી અથવા નરસિમ્હા રાવની બાજુમાં બનશે!
ડો. મનમોહન સિંહના સ્મારકના વિવાદ વચ્ચે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ રવિવારે રાજઘાટમાં સ્મારક ક્યાં બની શકે, એવી જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સંજય ગાંધીની સમાધિ પાસેની જમીન જોઈ છે. અધિકારીઓએ એ સ્થળની પણ મુલાકાત લીધી છે, જ્યાં એકતા સ્થળ પાસે પીવી નરસિમ્હા રાવની સમાધિ આવેલી છે. 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. રાજઘાટ સંકુલમાં અને એની આસપાસ 18 સ્મારક છે
દિલ્હીના રાજઘાટ સંકુલમાં અને એની આસપાસ 18 સ્મારક છે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો અને નાયબ વડાપ્રધાનોના સ્મારકોનો સમાવેશ થાય છે. બે અપવાદ સંજય ગાંધી અને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીનાં સ્વર્ગસ્થ પત્ની લલિતા શાસ્ત્રી છે, જેમનાં સ્મારક અહીં બનાવવામાં આવ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ધારાધોરણો મુજબ મનમોહન સિંહનું સ્મારક રાષ્ટ્રીય સ્મારક આ સ્થળ પર બનશે એવું મનાય છે. આ વિવાદમાં કોણે શું કહ્યું? વર્તમાન સરકારે ભારત માતાના મહાન પુત્ર અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિગમબોધ ઘાટ ખાતે અંતિમસંસ્કાર કરીને અપમાન કર્યું છે. – રાહુલ ગાંધી, વિપક્ષી નેતા, લોકસભા શીખ સમુદાયમાંથી આવેલા પહેલા વડાપ્રધાન અને જેને આખું વિશ્વ માન આપે છે, જેમણે 10 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા કરી તેવા ડો.મનમોહન સિંહના અંતિમસંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર 1000 ગજ જમીન પણ આપી શકી નહીં. – અરવિંદ કેજરીવાલ, AAP નેતા અત્યારસુધીના તમામ વડાપ્રધાનના અંતિમસંસ્કાર રાજઘાટ પરિસરમાં થયા. તો ડો. મનમોહન સિંહ માટે રાજઘાટમાં અંતિમસંસ્કારની જગ્યા કેમ ન આપી? આ ભાજપની નીચી વિચારધારા છે જે પોતાને સંસ્કારી પાર્ટી ગણાવે છે. ભાજપ પાર્ટી તરીકે મોટી છે પણ તેની વિચારસરણી બહુ નાની છે. કોઈ એકપણ પૂર્વ વડાપ્રધાનનું નામ આપો, જેના અંતિમસંસ્કાર નિગમબોધ ઘાટમાં થયા હોય. – સંજય સિંહ, AAP નેતા મા ભારતીના સપૂતને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો એ છે કે ડો. મનમોહન સિંહનું સ્મારક બનાવી શકાય. દેશના લોકો સાથે કાયમ તેમની યાદો જોડાયેલી રહે. આ વિષય રાજનીતિનો નથી એટલે કોંગ્રેસ-અધ્યક્ષે પત્ર લખ્યો છે કે સ્મારકનું નિર્માણ કરવામાં આવે. – રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ નેતા સરકારે તેમના સ્મારક માટે જગ્યા આપવી જોઈએ. વાજપેયીનું સ્મારક બની શકે તો મનમોહન સિંહનું કેમ નહીં? લોકો ત્યાં આવશે, જગ્યા જોશે. ડો. મનમોહન સિંહના જીવન વિશે જાણશે તો આવનારી પેઢીને પ્રેરણા મળશે. – કેપ્ટન અમરિંદર સિંહ, કોંગ્રેસ નેતા દિલ્હીમાં ઘણાં બધાં મેમોરિયલ્સ છે. એમાં એક વધારે સ્મારક બને તો સરકારને વાંધો ન હોવો જોઈએ. સરકારે જલદી આના માટે જગ્યા નક્કી કરવી જોઈએ. – શશી થરૂર, કોંગ્રેસ નેતા ખડગેને પત્ર લખવાની જરૂર શી પડે? કેન્દ્ર સરકારે સામેથી આગળ આવીને કહેવું જોઈએ કે સ્મારક અમે કરીશું. તેમનું જીવન જુઓ. દેશ માટે 50-60 આપવા એ નાની વાત નથી. – અશોક ગેહલોત, કોંગ્રેસ નેતા ડો. મનમોહન સિંહ એક યુગપુરુષ હતા. હરતીફરતી ઈન્સ્ટિટ્યૂટ હતા. કાળખંડ પર અમીટ છાપ છોડી ગયા છે. તેમના નામ પર રાજનીતિ ચાલી રહી છે. હું તમને એક સવાલ પૂછું છું. જો અટલજીના અંતિમસંસ્કાર કરવાના હોય અને કોઈ એમ કહે કે રાજઘાટ પર નહીં થાય. ત્યાં સ્મારક નહીં બને, બીજે ક્યાંક બનશે. તો ભાજપને કેવું લાગે? આ કોઈ પાર્ટીનો મુદ્દો નથી. દેશના ગૌરવમયી ઈતિહાસનો સવાલ છે. – નવજોત સિંહ સિદ્ધુ, કોંગ્રેસ નેતા દેશના પૂર્વ પ્રધાનમંત્રીની સમાધિના સંદર્ભમાં સન્માનની પરંપરાનું નિર્વહન થવું જોઈએ. આ વિષય પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. ડો. મનમોહનનું સ્મારક રાજઘાટ પર જ બનવું જોઈએ. પોતાના નકારાત્મક વિચારના કારણે ઈતિહાસ ભાજપને ક્યારેય માફ નહીં કરે. – અખિલેશ યાદવ, સપા નેતા કેન્દ્ર સરકાર દેશના પહેલા શીખ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના સન્માનમાં સ્મારક બનાવે, જ્યાં તેના પરિવારની દિલની ઈચ્છા છે. – માયાવતી, બસપા નેતા એ વાત ચોંકાવનારી છે કે ડો, મનમોહન સિંહના પરિવારે આ પ્રતિષ્ઠિત અને ઉત્કૃષ્ઠ નેતાના અંતિમસંસ્કાર એવા સ્થાન પર કરાવવા અનુરોધ કર્યો હતો, જ્યાં ઐતિહાસિક સ્મારક બનાવી શકાય, જોકે કેન્દ્ર સરકારે આ અનુરોધને ફગાવી દીધો. આ અત્યંત નિંદનીય છે. અંત્યેષ્ટિ અને સ્મારક માટે ઉચિત સ્થાન રાજઘાટ જ જ હતો. – સુખબીર સિંહ બાદલ, શિરોમણિ અકાલીદળ નેતા પવન ખેડાએ 9 સવાલ ઉઠાવ્યા, ભાજપના અમિત માલવીયે તમામના જવાબ આપ્યા
પવન ખેડા : દૂરદર્શન સિવાય કોઈને અંત્યેષ્ટિ કવરેજની મંજૂરી નહોતી અપાઈ. એમાં પણ મોદીને વધારે બતાવાયા. અમિત માલવીય : રાષ્ટ્રીય ઘટના માત્ર દૂરદર્શન જ કવર કરી શકે. આ નિર્ણય સુરક્ષા એજન્સીઓનો છે. પવન ખેડા : ડો. સિંહના પરિવાર માટે માત્ર 3 ખુરસી મૂકવામાં આવી હતી. અમિત માલવીય : અંત્યેષ્ટિ સ્થળ પર બેસવાની વ્યવસ્થા CPWDએ દિલ્હી પોલીસ સાથે ચર્ચા કરીને કરી હતી. પવન ખેડા : ગાર્ડ ઓફ ઓનર વખતે મોદી અને બીજા મંત્રીઓ ઊભા થયા નહીં. બેઠા રહ્યા. અમિત માલવીય : અંતિમસંસ્કાર રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા. એમાં કોઈ બાંધછોડ નથી થઈ. પવન ખેડા : ચિતા આસપાસ સૈનિકો જ હતા. ડો. સિંહના પરિવાર માટે પર્યાપ્ત જગ્યા નહોતી. અમિત માલવીય : ચિતા આસપાસ જેટલી જરૂર હતી એટલી જગ્યા આપી હતી. કોઈએ ત્યાં કબજો કર્યો નહોતો. પવન ખેડા : ડો. સિંહના અંતિમસંસ્કાર પ્રજા જોઈ ન શકી. તેમને નિગમબોધ ઘાટમાં અંદર જતાં રોકવામાં આવ્યા. અમિત માલવીય : સ્મશાનની બહાર કાબૂ બહાર ભીડ જમા થઈ હતી. સુરક્ષાની દૃષ્ટિએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પવન ખેડા : અમિત શાહનો કાફલો સ્મશાનમાં પ્રવેશ્યો પછી કોઈ ગાડીને પ્રવેશ અપાયો નહીં અને ડો. મનમોહન સિંહના પરિવારની ગાડીઓને જ એન્ટર ન થવા દીધી. પરિવાર બહાર રહી ગયો. અંતે તેને શોધીને અંદર લાવવો પડ્યો. અમિત માલવીય : આ બધી જવાબદારી ટ્રાફિક-પોલીસની હતી. પરિવારની કાર માટે પહેલેથી જ જાણકારી માગવામાં આવી હતી અને એના પાસ ઈસ્યુ કર્યા હતા. પવન ખેડા : નિગમબોધ ઘાટ પર અરાજકતા હતી. કોઈ વ્યવસ્થા નહોતી. અંતિમ યાત્રામાં આવનારા માટે કોઈ જગ્યા જ નહોતી બચી. અમિત માલવીય : શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈને મનાઈ નહોતી કરાઈ. બાકી રક્ષા મંત્રાલયે અંતિમસંસ્કાર કરવાનું કામ સેનાને સોપ્યું હતું. ભાજપે એવું કેમ કહ્યું કે મનમોહન સિંહ જીવતા હતા ત્યારે કોંગ્રેસે તેમને માન ન આપ્યું?
ડો. મનમોહન સિંહના ભૂતપૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુ તેમના પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં લખે છે કે કોંગ્રેસે વડાપ્રધાનપદની સત્તા મનમોહન સિંહને સોંપી દીધી હતી, પરંતુ અધિકારો નહોતા આપ્યા. પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (PMO)ના કોન્ફિડેન્શિયલ અને અગત્યના નિર્ણયોની ફાઈલો સોનિયા ગાંધીના ઘરે એટલે કે 10-જનપથ પર જતી હતી. યુપીએ સરકારના બંને કાર્યકાળમાં પ્રધાનોની વફાદારી વડાપ્રધાન મનમોહન સિંહ પ્રત્યે ઓછી અને સોનિયા ગાંધી પ્રત્યે વધુ હતી. યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા નટવર સિંહ પોતાની આત્મકથા ‘વન લાઈફ ઈઝ નોટ ઈનફ’માં લખે છે કે PMO ઓફિસર પુલક ચેટર્જી રોજ PMOની મહત્ત્વપૂર્ણ ફાઈલો સોનિયા ગાંધી પાસે લઈ જતા હતા, જોકે 2018માં સોનિયા ગાંધીએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું મારી મર્યાદાઓ જાણું છું. હું જાણતી હતી કે મનમોહન સિંહ મારા કરતાં વધુ સારા વડાપ્રધાન બનશે. પૂર્વ PM નરસિમ્હા રાવ સાથે જોડાયેલો વિવાદ શું છે?
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, અમારી સરકારે પક્ષાપક્ષીની ભાવનાઓથી પર ઊઠીને દરેકને સન્માન આપ્યું છે. કોંગ્રેસે નહેરુ-ગાંધી પરિવારની બહાર કોઈપણ પીએમનું સન્માન કર્યું નથી. પીવી નરસિમ્હા રાવ સાથે શું થયું એ બધા જાણે છે. હકીકતમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર એવો ડાઘ છે કે 2004માં પીવી નરસિમ્હા રાવના અંતિમસંસ્કાર દિલ્હીમાં કરવા દેવામાં આવ્યા નહોતા. પોલિટિકલ સાયન્સના પ્રોફેસર વિનય સીતાપતિ તેમના પુસ્તક ‘હાફ લાયનઃ હાઉ પીવી નરસિમ્હા રાવ ટ્રાન્સફોર્મ્ડ ઈન્ડિયા’માં નરસિમ્હા રાવના પુત્ર પ્રભાકરને ટાંકીને લખે છે કે સોનિયાજી મારા પિતાના અંતિમસંસ્કાર દિલ્હીમાં થાય એવું ઈચ્છતા નહોતાં. તેઓ એવું પણ ઈચ્છતા નહોતા કે તેમનું સ્મારક અહીં બને. સંજય બારુના પુસ્તક ‘હાઉ પીવી નરસિમ્હા રાવ મેડ હિસ્ટ્રી’માં લખ્યું છે કે 23 ડિસેમ્બર 2004ના રોજ રાવના મૃત્યુ પછી ત્રિરંગામાં લપેટાયેલા તેમના પાર્થિવદેહને કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર અડધા કલાક સુધી રાખવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ હેડક્વાર્ટરના દરવાજા ખોલવામાં આવ્યા નહોતા. સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ બહાર આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી નશ્વર દેહને તેમના જન્મસ્થળ હૈદરાબાદ મોકલવામાં આવ્યો હતો અને ત્યાં જ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. 2015માં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી નરસિમ્હા રાવનું સ્મારક બંધાવ્યું હતું. તેમના મૃત્યુના 10 વર્ષ પછી રાવને એકતા સ્થળ સમાધિ નામનું સ્મારક મળ્યું. 2024માં ભાજપે પીવી નરસિમ્હા રાવને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વિવાદો વચ્ચે પ્રણવ મુખર્જીની દીકરીએ બળતામાં ઘી હોમ્યું
ડો. મનમોહન સિંહની અંતિમ વિધિ અને સ્મારકનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ પર બળાપો કાઢ્યો છે. શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને લખ્યું છે કે જ્યારે પિતાનું નિધન થયું હતું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ શોક વ્યક્ત કરવા વર્કિંગ કમિટીની બેઠક પણ નહોતી બોલાવી. એક વરિષ્ઠ નેતાએ મને કહ્યું હતું કે આ રાષ્ટ્રપતિઓ માટે ન હોય. આ બકવાસ વાત છે, કારણ કે મને પછીથી પિતાજીની ડાયરીમાંથી જાણવા મળેલું કે કે.આર.નારાયણનના નિધન પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી અને એનો શોક સંદેશ પિતાજીએ જ તૈયાર કર્યો હતો. દેશમાં કયા નેતાઓની સમાધિ બનાવવામાં આવે છે અને એનો પ્રોટોકોલ શું છે?
દેશ માટે ઐતિહાસિક યોગદાન આપનારા નેતાઓ માટે જ સમાધિ બાંધવામાં આવે છે. એમાં ફક્ત તે જ લોકો સામેલ છે, જેમણે દેશ માટે મહાન કામ કર્યું હોય. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના ઉદાહરણ પરથી સમજીએ કે તેમણે 1992માં દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો હતો. તેઓ દેશના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. તેઓ બિન-ગાંધી પરિવારમાંથી સતત બે ટર્મ માટે વડાપ્રધાન બનેલા પ્રથમ નેતા પણ હતા, તેથી તેમની સમાધિ બનાવવામાં આવશે. દેશમાં ચાર કેટેગરીના લોકો માટે સમાધિ બનાવવામાં આવે છે… આમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એકમાત્ર એવા નેતા છે, જેમની સમાધિ રાજઘાટ પર બનાવવામાં આવી છે. ભારતમાં ભૂતપૂર્વ વડાપ્રધાનોની સમાધિઓ અંગે કોઈ ચોક્કસ કાયદો નથી, પરંતુ એને લગતી કેટલાંક દિશા-નિર્દેશ અને પ્રથાઓ છે, જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ભૂતપૂર્વ વડાપ્રધાનોની સમાધિ અથવા અંતિમસંસ્કાર સ્થળની જાળવણી કરવાની જવાબદારી ભારત સરકારની છે. સરકાર દ્વારા સમાધિના નિર્માણ અને જાળવણી માટે અલગ બજેટ મળે છે. આ ખર્ચમાં સમાધિ સ્થળ પર ઓટલો, મૂર્તિ, તકતી અને અન્ય જરૂરી વસ્તુઓના નિર્માણનો સમાવેશ થાય છે. સ્મારક માટેની ફાઇલ 4 મંત્રાલયમાંથી પસાર થાય છે… અંતિમસંસ્કાર થાય ત્યાં જ સમાધિ બનાવવી જરૂરી છે?
2013માં મનમોહન સિંહે રાજઘાટ સંકુલમાં સમાધિ બનાવવાની નીતિમાં ફેરફાર કર્યો હતો. નવી નીતિ એવી બનાવી હતી કે સમાધિ સ્થળોનું નિર્માણ માત્ર વીવીઆઈપી અને રાષ્ટ્રીય યોગદાન આપનારા નેતાઓ માટે જ કરવામાં આવે છે. યુપીએ સરકારે એની પાછળનું કારણ એવું આપ્યું હતું કે જગ્યાનો અભાવ છે. દેશમાં અંત્યેષ્ટિની જગ્યાએ જ સ્મારક બનાવવાનો કોઈ બંધારણીય નિયમ નથી, પણ આ પરંપરા બની ગઈ છે. આ પહેલાં પણ ઘણી વખત આવું બન્યું છે. પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા ઘણા નેતાઓની સમાધિઓ ત્યાં જ બનાવવામાં આવી, જ્યાં તેમની અંત્યેષ્ટિ કરવામાં આવી હોય. કોંગ્રેસે એટલા માટે જ મનમોહન સિંહની અંત્યેષ્ટિ માટે અલગ જગ્યા માગી હતી. દેશના પૂર્વ વડાપ્રધાનનાં સમાધિ સ્થળ ક્યાં ક્યાં છે? ( નોંધ : દેશના પૂર્વ વડાપ્રધાન વી.પી.સિંહની અંત્યેષ્ટિ 2008માં અલાહાબાદમાં થઈ હતી અને તેમનું સમાધિ સ્થળ ક્યાંય નથી. તો પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ અભય ઘાટના નામથી અમદાવાદમાં છે.) ડો. મનમોહન સિંહ પર બનેલી ફિલ્મનો વિવાદ શું છે?
ડો. મનમોહન સિંહની સાથે PMOમાં મીડિયા સલાહકાર હતા, સંજય બારુ. તેમણે ડો. મનમોહન સિંહ પર પુસ્તક લખ્યું છે, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’. ફિલ્મ ખાસ ચાલી નહીં. ફિલ્મનો વિરોધ પણ ઘણો થયો હતો. મનમોહન સિંહના નિધન પછી પત્રકાર વીર સંઘવીએ આ ફિલ્મની ટીકા કરી હતી. હંસલ મહેતાએ એનું સમર્થન કર્યું. હંસલ મહેતાએ ટીકાનું સમર્થન કરતાં જ અનુપમ ખેર મેદાનમાં આવ્યા ને નવો જ વિવાદ શરૂ થયો. વીર સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે સારા માણસને ખરાબ ચીતરવા માટે મીડિયાનો ખરાબ ઉપયોગ કરવામાં આવ્યો. મનમોહન સિંહ વિશે ફેલાવાયેલાં જૂઠાણાંને ફિલ્મમાં બતાવાયાં છે. ફિલ્મમાં મનમોહન વિશેનાં કામો અને એનું સત્ય છુપાવાયું છે. આ ટ્વીટને હંસલ મહેતાએ સમર્થન કર્યું હતું. હંસલ મહેતા વિશે અનુપમ ખેરે લખ્યું છે કે ફિલ્મ કોઈને ન ગમે એ પોતાનો અંગત મત છે, પણ હંસલ મહેતા તમે ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના ક્રિએટિવ ડિરેક્ટર હતા. તો હંસલ મહેતાએ જવાબ લખ્યો કે વધારે વિવાદ ટ્વિટર પર નથી કરવો, રૂબરૂ મળીને ચર્ચા કરીશું. છેલ્લે, ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મમાં ડો. મનમોહન સિંહનો રોલ નિભાવતા અનુપમ ખેર એક ડાયલોગ બોલે છે – મુઝે કોઈ ક્રેડિટ નહીં ચાહિએ. મુઝે અપને કામ સે મતલબ હૈ, ક્યોં કિ મેરે લિએ દેશ પહલે આતા હૈ… રિયલ લાઈફમાં ડો. મનમોહન સિંહ આવા જ હતા… સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )