ગોંડલ તાલુકાના મોટામહીકામાં ગત શુક્રવારે ખંઢેર હાલતમાં રહેલા મકાનમાંથી રાજકોટના પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યમય ઘટનાની પોલીસ તપાસમાં આ લાશ પ્રૌઢની નહીં પણ તેના મિત્રની હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. રાજકોટ રહેતા પ્રૌઢે વિમો પકવવા કે કોઇ અન્ય કારણોસર મિત્રની હત્યા કરી પેટ્રોલ છાંટી સળગાવી દઇ પોતે મૃત જાહેર થાય તે માટે લાશની આસપાસ પોતાના ડેક્યુમેન્ટ રાખી દઇ ખોટી સ્ટોરી ઉભી કરી હતી, પરંતુ પોલીસે ખોફનાક કાવત્રાનો ગણતરીની કલાકોમાં ઘટફોસ્ટ કરી શાપર રહેતા સગીરને ઉઠાવી લઇ તપાસ હાથ ધરી નાસી છૂટેલા ખોફનાક સ્ટોરીના માસ્ટર માઇન્ડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રહસ્યમય ઘટનાનો તાલુકા પોલીસ અને LCB બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો
ગત શુક્રવારના મોટા મહીકા ગામે ખંઢેર જેવી હાલતમાં રહેલા મકાનમાંથી અર્ધ બળેલી હાલતમાં પુરુષની લાશ મળી આવ્યા બાદ લાશ મૂળ મોટા મહીકાનાં અને હાલ રાજકોટની મોરબી રોડ પર આવેલી સદગુરૂ સોસાયટીમાં રહેતા હસમુખ મુળશંકર ધાનેજા વ્યાસની હોવાનું ખુલ્યું હતું. રહસ્યમય ઘટનાને લઇ તાલુકા પોલીસના PI જે.પી.રાવ, LCB PI વી.વી. ઓડેદરા, SOG PSI મિયાત્રા સહિતની પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાયાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. મૃતદેહ સંદીપગીરીનો હોવાનું બહાર આવ્યું હતું
બીજી બાજુ રાજકોટ શાંતિનગરમાં રહેતી ગાયત્રી સંદીપગીરી ગોસ્વામી તેમના પતિ સંદીપગીરી બાજુમાં રહેતા હસમુખ વ્યાસ સાથે ગયા બાદ ઘરે પરત નહીં ફરતા અને પોલીસે બનાવને લઈને સગા-સંબંધીની પુછપરછમાં સંદીપગીરી સાથે ગયા હોવાની માહીતી મળી હોય ગાયત્રીબેનનો સંપર્ક કર્યો હતો. દરમિયાન ગાયત્રીબેનને હસમુખભાઈનો મૃતદેહ મળ્યાની જાણ થતાં તે પીએમ રૂમ પર દોડી ગયા હતા અને મૃતદેહ પોતાનાં પતિનો હોવાની શંકા દર્શાવી હતી. બાદમાં ફોરેન્સિક પીએમમાં શંકા યથાર્થ ઠરી હોય તેમ મૃતદેહ સંદીપગીરીનો હોવાનું બહાર આવ્યું હતું. ગળું દબાવી બાદમાં શરીરે પેટ્રોલ છાંટી કરી હોવાની કબૂલાત કરી
પોલીસે અલગ અલગ ટીમ બનાવી ભેદભરમવાળી ઘટનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હોય બનાવ સમયે બે વ્યક્તિઓ હોવાનું જાણવા મળતા અલગ અલગ વ્યક્તિઓની પુછપરછને અંતે બનાવ સમયે સાથે રહેલો શાપરમાં રહેતો સગીર હોવાની હકીકત ખુલતા સગીરને ઉઠાવી લઇ પુછપરછ કરતા તેણે વટાણા વેરી દઇ સંદીપગીરીની હત્યા તેણે અને હસમુખે ગળું દબાવી અને બાદમાં શરીરે પેટ્રોલ છાંટી કરી હોવાની કબૂલાત આપી હતી. ખંઢેરમાં જઇ મૃતદેહ પર પેટ્રોલ છાંટી બન્ને નાશી છૂટ્યા હતા
પોલીસ સુત્રો અનુસાર હસમખુ અને સંદીપગીરી પાડોશી હોય મિત્ર દાવે મુંબઈ જવાનું કહી શાપરથી સગીરને સાથે લઇ ગુરૂવાર રાત્રે મોટા મહીકા પહોંચ્યા હતા. ત્યાં હસમુખના બાપદાદાનાં ખંઢેર હાલતમાં રહેલા મકાને પહોંચી હસમુખ તથા સગીરે સંદીગીરીની ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં મૃતદેહ પાસે હસમુખે પોતાનું પાકીટ, આધારકાર્ડ સહિતનાં ડેક્યુમેન્ટ રાખી દીધા હતા. જેથી આ મૃતદેહ હસમુખનો હોવાનું બહાર આવે બાદમાં મોટા મહીકાનાં બસસ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાને જઇ ગાડીમાં પેટ્રોલ ખાલી થયું છે. તેવું કહી દુકાનદાર પાસેથી પેટ્રોલ મેળવ્યું હતું અને ફરી ખંઢેરમાં જઇ મૃતદેહ પર પેટ્રોલ છાંટી બન્ને નાશી છૂટ્યા હતા. પોલીસની ટીમે સોમનાથ-વેરાવળ સુધી તેનું પગેરુ દબાવ્યું
શુક્રવારે ગોંડલ રહેતા હસમુખનો ભાઇ હિતેશ માતાજીનાં મઢે દર્શન કરવા આવ્યો હોય પોતાના જૂના ખંઢેર બનેલા મકાને આંટો મારવા જતા અર્ધ સળગેલો મૃતદેહ જોતા અને તેની બાજુમાં પોતાના ભાઇનું પાકીટ, મોબાઇલ, આઇકાર્ડ વગેરે જોતા ચોંકી ઉઠ્યો હતો. બાદમાં તેણે ગામનાં સરપંચને જાણ કરતા સરપંચે બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ખોફનાક કાવત્રાનાં માસ્ટર માઇન્ડ હસમુખને ઝડપી લેવા પગેરુ દબાવ્યું હતું અને હાથવેંતનું છેટુ રહ્યું હતું. ત્યારે પોતાનું ભોપાળુ છતું થયાનું જાણી ચૂકેલો હસમુખ હવામાં ઓગળી ગયો હતો. પોલીસ ટીમે છેક સોમનાથ-વેરાવળ સુધી તેનું પગેરુ દબાવ્યું હતું પણ ચાલક હસમુખ હાથ આવ્યો ન હતો. હસમુખ રાજકોટ બીજી પત્ની સાથે રહે છે, મૂળ મોટા મહીકાનો છે. હસમુખને ઝડપી લેવા પોલીસે તપાસ ગતિમાન કરી છે. રાજકોટ LCB PI વી.વી.ઓડેદરા, તાલુકા પોલીસના PI જે.પી.રાવ, LCB PSI એચ.સી.ગોહીલ, SOG PSI બી.સી.મીયાત્રા, PSI આર.જે.જાડેજા, આર.આર.સોલંકી ગોંડલ તાલુકા પો.સ્ટાફ, ગોંડલ તાલુકા પોલીસ, એલ.સી.બી. ટીમ તથા ટેકનીકલ ટીમની સંયુક્ત કામગીરીમાં જોડાયા હતા.