ભુજ શહેરના મહાવીર નગર વિસ્તારમાં એક કારપેન્ટરે પોતાની જ દુકાનમાં ઇલેક્ટ્રિક કટરથી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સવારે દુકાન ખોલ્યા બાદ પોતાના કર્મચારીને ચા લેવા મોકલીને પાછળથી કારપેન્ટરે આત્મહત્યા કરી હતી. કારપેન્ટરની આત્મહત્યામાં ગૃહકલેશ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, સાચુ કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. કારપેન્ટરે કર્મચારીને ચા લેવા મોકલ્યો હતો
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના વાલદાસ નગરના રહેવાસી 38 વર્ષીય ચેતન જોટાણીયા ચામુંડા વુડન નામની ફર્નિચરની દુકાન ધરાવતા હતા. આજે સવારે 10 વાગ્યાના સુમારે તેઓ તેમના કર્મચારી સાથે દુકાને આવ્યા હતા. દુકાન ખોલ્યા બાદ તેમણે કર્મચારીને નજીકની હોટેલમાંથી ચા લાવવા મોકલ્યો હતો. કર્મચારી પરત આવ્યો તો દુકાન બહાર લોહીનો રેલો હતો
ચા લેવા ગયેલો જ્યારે કર્મચારી પરત ફર્યો ત્યારે દુકાનનું શટર અર્ધ બંધ હાલતમાં હતું અને અંદરથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. જે જોતા જ કર્મચારીએ બુમાબુમ કરીને શટર ઊંચું કર્યું તો ચેતનભાઈ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમની નજીક ઇલેક્ટ્રિક કટર પડેલું હતું. કર્મચારીએ ચેતનભાઈને આવી હાલતમાં જોઇને તુરંત આજુબાજુના દુકાન ધારકોને જાણ કરી હતી. ગૃહકલેશમાં આત્મહત્યા કરી હોવાનું અનુમાન
આજુ બાજુના લોકોએ દોડી આવી તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને આ ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI દિનેશ રાઠવાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં માનસિક તણાવ અને ગૃહકલેશ આ આપઘાત માટે જવાબદાર જણાઇ રહ્યું છે. જોકે, સાચુ કારણ તપાસ બાદ સામે આવશે.