બેટ દ્વારકામાં બીજ દિવસે પણ બાલાપર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી યથાવત છે. અંદાજે 250 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી છે. અત્યાર સુધી 96 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. હજુ પણ આગામી બે દિવસ ડિમોલિશન યથાવત્ રહેશે. અંદાજે 9.50 કરોડની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત્ છે. 16,500 સ્કેવર મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. એક SP, ત્રણ DySpના માર્ગ દર્શનમાં 1000 જેટલા પોલીસ અને એસ.આર. પીના જવાનો બંદોબસ્તમાં છે. ઓખામંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓક્ટોબર 2022 માસમાં હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરનાં દબાણો હટાવાયાં હતાં, એ બાબત સમગ્ર રાજ્યમાં નોંધનીય બની રહી હતી. આ પછી બીજા રાઉન્ડમાં યાત્રાધામ હર્ષદ, ભોગાત વગેરે સ્થળોએ પણ માર્ચ 2023ના સમયગાળામાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસતંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાક-કોમર્શિયલ દબાણોનો કડૂસલો બોલાવી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડે્યની સીધી દેખરેખ તેમજ માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકાર દાયક બની હતી. ત્યારે યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં રહેલા વ્યાપક દબાણ અંગે કરવામાં આવેલા સરવે તેમજ જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ આજથી બેટ-બાલાપર વિસ્તારમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજથી પુનઃ શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે સુધીમાં 96 જેટલા રહેણાક મકાનોને તોડી પાડી અને કરોડો રૂપિયાની આશરે 16300 સ્ક્વેર મીટર જેટલી જગ્યા જેની બજાર કિંમત નવ કરોડ જેટલી આંકવામાં આવી છે, તે ખુલ્લી કરવામાં આવી છે. આ ઝુંબેશ હજુ આગામી દિવસોમાં પણ જારી રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ તત્વો દ્વારા અનઅધિકૃત રીતે સરકારી જમીન પર કરવામાં આવેલા અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી સરવે તેમજ નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ આ અંગેની મુદત પૂર્ણ થયે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલા રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યાને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયને સાથે રાખી અને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ આદરવામાં આવી હતી. તાજેતરમાં દ્વારકાને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું અને અંતે ગઈકાલે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ આજથી શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. ગઇકાલ સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે 250 જેટલા આસામીઓને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પૂર્વે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરનો પોલીસ કાફલો પી.આઈ., પી.એસ.આઈ. ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે 1000 જેટલા સુરક્ષા કર્મીઓને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા. આટલું જ નહીં, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી. ડિમોલીશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને અહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ત્યારે દ્વારકા, બેટ દ્વારકા વિસ્તારમાં આજથી શરૂ થયેલા ડિમોલિશનના વધુ એક રાઉન્ડએ દબાણકર્તા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી. કોરિડોર પ્રોજેક્ટ તેમજ વિકાસ કાર્યોને ધ્યાનમાં લઈને હાથ ધરાયુ ડીમોલીશન: એસ.ડી.એમ
દેવભૂમિ દ્વારકામાં સરકાર દ્વારા હાલ કોરિડોર પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને દ્વારકા તેમજ બેટ દ્વારકામાં ચાલતા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસમાં આશરે 250 જેટલી નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. તાજેતરમાં દ્વારકાના લાઈટ હાઉસ વિસ્તારમાંથી આશરે રૂપિયા દોઢ કરોડની કિંમતની 150 સ્ક્વેર મીટર જમીન તેમજ દ્વારકાના મેઈન રોડ વિસ્તારમાં રૂપિયા પાંચ કરોડ જેટલી કિંમતના 500 સ્ક્વેર મીટર તેમજ હાથી ગેટ વિસ્તારમાં પણ 200 સ્ક્વેર મીટર ગેરકાયદેસર દબાણો દૂર કરી, આજથી બાલાપર બેટ દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલીશન હાથ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અહીં કરવામાં આવેલા સરવેમાં ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવેલા રહેણાંક મકાનોને આજ રોજ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આ પૂર્વે સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે નોટિસો તેમજ ગત તારીખ 8 તથા 9 ના રોજ જન સુનાવણી કરી અને અરજદારોના ડોક્યુમેન્ટ વેરીફાઇ કરવા અંગેની ધોરણસર કાર્યવાહી કરાઈ હતી. જેમાં બપોર સુધીમાં 35 મળી આજે સાંજ સુધીમાં આશરે 76 જેટલા ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી આશરે 26 હજાર સ્ક્વેર ફીટ જગ્યાને આજરોજ ખુલ્લી કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું. બેટ દ્વારકા વિસ્તારમાં તંત્રના ઓપરેશન ડિમોલેશનમાં પોલીસનો કડક બંદોબસ્ત: એસ.પી. પાંડેય
આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસી ટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે. તેમ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જણાવાયું છે. આજરોજ હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એસઆરપી એમ. ટી.એફ.ના જવાનોને સ્ટેન્ડ ટુ રાખ્યામાં આવ્યા છે. દરિયાઈ વિસ્તારમાં કોઈ ઇસ્યુ ન થાય તે માટે દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. તેમ પોલીસ વડા દ્વારા વધુમાં જણાવાયું છે. આ ઝુંબેશ હજુ આગામી દિવસોમાં પણ જારી રહેશે
બેટ દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં મંદિર તેમજ અન્ય નિત્યક્રમ જારી રાખવામાં આવ્યો હતો. જ્યારે આ વિસ્તારમાં બહારના લોકોની અવર-જવર અટકાવી દેવામાં આવી હતી. અહીં અનેક આસામીઓને દબાણ હટાવવાની નોટિસો આપવામાં આવી ચૂકી છે. ત્યારે આ ઝુંબેશ હજુ આગામી દિવસોમાં પણ જારી રહેશે તેઓ સંકેત સૂત્રો દ્વારા આપવામાં આવ્યો છે. સાડા ત્રણ લાખ ફૂટ જગ્યા પરનું દબાણ હટાવાયું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર 2022 માસમાં બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં કોમર્શિયલ તેમજ અન્ય મળી કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 7.59 કરોડની કિંમતની આશરે સાડા ત્રણ લાખ ફૂટ જેટલી જગ્યા ખુલી કરવામાં આવી હતી.