કેશોદ તાલુકાના ચર ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં વાડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ખેડૂત ખીમાભાઈ માલદેભાઈ બોરખતરિયાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેમના પરિવારના ઘરના અન્ય સભ્યો જૂનાગઢ હોસ્પિટલમાં હતા. ત્યારે ખેતરના ભાગ્યાએ જ ખીમજીભાઇની હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના દીકરા કૌશિક બોરખતરીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ખેડૂતે ભાગીયાને ઠપકો આપ્યો હતો
આ ઘટનાની વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામના ખેડૂત ખીમાભાઇના ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી લીલાભાઈ ડાભી નામનો શખ્સ ભાગ રાખીને વાવણી કરતો હતો. જે અવાર નવાર ખીમાભાઇના પાડોશીની પત્નીના ચારિત્ર્ય વિષે ખરાબ વાતો કરતો હતો. જેથી પાડોશીએ આ બાબતે ખીમાભાઇને જાણ કરી હતી કે, તમારો ભાગીયો મારી પત્ની વિષે જે ટીપ્પણીઓ કરે છે એ યોગ્ય નથી. પુત્રવધૂને ઘરમાં પુરી સસરાને રહેંસી નાખ્યા
પાડોશીએ વાત કરતાં ખીમાભાઇએ લીલા ડાભીને બોલાવીને આવું ન કરવા ઠપકો આપ્યો હતો. જેથી લીલા ડાભીને મનમાં લાગી આવ્યું હતું અને એણે મનમાં ખીમાભાઇને પતાવી દેવાનું નક્કી કરી લીધુ હતું. આ દરમિયાન ગતરોજ ખીમાભાઇનો પરિવાર જૂનાગઢ હોસ્પિટસ ખાતે સંબંધીની ખબર કાઢવા ગયો હતો, ત્યારે ઘરમાં ખીમાભાઇ અને એમની પુત્રવધૂ જ હાજર હતા. આ દરમિયાન લીલા ડાભી ઘરે આવ્યો હતો, જેણે ખીમાભાઇની પુત્રવધૂ ઘરમાં હતી ત્યારે બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને તિક્ષ્ણ હથિયારો વડે ખીમાભાઇની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. પાડોશી ઘરે આવ્યા ત્યારે હત્યાની જાણ થઇ
પુત્રવધૂને ઘરમાં બંધ હતી જેથી આ હત્યાની એને જાણ થઇ નહોતી. જોકે, આ દરમિયાન પાડોશી ઘરે આવતાં ખીમાભાઇને લોહીલુહાણ હાલતમાં જોતા એમણે તુરંત 108ને જાણ કરી હતી. જોકે, 108 પહોંચે એ પહેલાં જ ખીમાભાઇનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ અંગે જાણ કરાતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ મૃતકના ખેતરમાં ભાગ રાખનાર લીલા ડાભીનો હાથ હોવાનું જણાઇ આવ્યું હતું. આ અંગે મૃતકના દીકરાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં લીલાડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ ટીમો બનાવીને હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા
આ અંગે DySP બી.સી ઠક્કરે જણાવ્યું હતું કે, મૃતક ખીમાભાઇના ખેતરમાં ભાગ રાખતો લીલા ડાભી એમના પાડોશીની પત્ની વિષે ખરાબ કમેન્ટ કરતો રહેતો હતો. જેથી પાડોશીએ ફરિયાદ કરતાં ખીમાભાઇએ લીલા ડાભીને ઠપકો આપ્યો હતો, જેનું મનદુખ રાખીને લીલા ડાભીએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસની અલગ અલગ ટીમો આરોપીને શોધી રહી છે અને આગળની તપાસ ચાલુ છે.