ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. દિવસના સમયે ગરમી તો રાતના સમયે ઠંડું વાતાવરણ છવાઈ જાય છે. આવનારા સમયમાં વાતાવરણ કેવું રહેશે એ અંગે ગુજરાતના બે મોટા આગાહીકારોએ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આવનારા સમયમાં રાજ્યમાં માવઠાને લઈને આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા પડવાની સંભાવના છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવાના તોફાનને કારણે પવનની ગતિ વધશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી એટલે કે 28 જાન્યુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેથી ગુજરાતમાં એની અસરોને લઈને 30 અને 31 જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં, એટલે કે 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતા છે. આ સમયે હવાના તોફાનને કારણે પવનની ગતિ પણ વધુ રહી શકે છે. વાતાવરણમાં એકાએક પલટો આવતો દેખાશે અને ધુમ્મસ પણ છવાયેલું રહી શકે છે. છૂટાછવાયા કમોસમી વરસાદની આશંકા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોની આગાહી મુજબ 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરીય જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાઓએ છૂટાછવાયા હળવા કમોસમી વરસાદી ઝાપટાં વરસી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત વડોદરા, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર તથા ખંભાત, વિરમગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સહિત માવઠાનાં એંધાણ છે, જેથી ખેડૂતોએ અગમચેતીનાં પગલાં લેવાથી મોટા નુકસાનથી બચી શકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણ એકાએક પલટાશે
હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પણ રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે, કારણ કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાત પર પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. રાજ્યમાં 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન ખેડૂતો માટે અશુભ દિવસો થઈ શકે છે, કારણ કે આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે, જેમાં મુખ્યત્વે ઉત્તર-મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે. માવઠાની અસર મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં રહેશે
આગાહી મુજબ ઉત્તર ભારતના વિસ્તારો પરથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં અસર કરશે તથા એની અસરો ગુજરાત પર પણ થવાની સંપૂર્ણ સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતા છે, પરંતુ સૌથી વધુ અસર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની અસર રહેશે. 3-4 ફેબ્રુઆરીએ અમદાવાદ-ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય છૂટાછવાયાં હળવાં વરસાદી ઝાપટાં વરસી શકે છે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સિવાય આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરાના ભાગોમાં 4 ફેબ્રુઆરીના રોજ મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં વરસી શકે છે. તદુપરાંત મહા મહિનામાં દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાં વરસી શકે એવી શક્યતા હાલમાં જણાઈ રહી છે. મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં ઘટ વાદળો છવાયેલાં રહી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારમાં આવેલા અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઘટ વાદળો છવાયેલાં રહી શકે છે તથા કોઈક વિસ્તારમાં ખૂબ જ હળવાં વરસાદી ઝાપટાં પણ આવી શકે છે. તદુપરાંત દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, સુરત અને વલસાડના ભાગોમાં 5 ફેબ્રુઆરીના રોજ હળવાં વરસાદી ઝાપટાં થઈ શકે છે એટલે કે ફેબ્રુઆરી માસનું પહેલું અઠવાડિયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણને લઈને અસ્તવ્યસ્ત જોવા મળી શકે છે. આ વાતાવરણ ખેડૂતોમાં ચિંતા ઊપજાવી શકે છે એટલે પહેલેથી જ સાવધાની રાખવાથી પાકને થતું નુકસાન મહદંશે ઘટાડી શકાય છે. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ વરસાદની સંભાવનાઃ હવામાન
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારબાદ છઠ્ઠા અને સાતમાં દિવસે એટલે કે, બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થશે. આ ઉપરાંત છુટાછવાયા વિસ્તારોમાં હળવા આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. આજે (28 જાન્યુઆરી) વહેલી સવારે પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતુંય તેનું મુખ્ય કારણ હતું કે, અરબસાગરનું મોઈશ્ચર ગુજરાત તરફ આવતા સામાન્ય વાદળો છવાયા હતા. હજુ પણ આગામી પાંચ દિવસ આ સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. બીજી તરફ તાપમાનમાં પણ મોટા ફેરફારની શક્યતાઓ નહીવત પ્રમાણમાં છે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો-ઘટાડો થઈ શકે છે. સૌથી ઓછું તાપમાન કેશોદમાં નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન નલિયા કે જ્યાં ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે, ત્યાંનું એકાએક લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધીને 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. તથા ગતરાત્રિ દરમિયાન ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કેશોદમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 16.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.