આગામી 27મી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે વિદ્યાર્થીઓને રિસિપ્ટ આપી દેવામાં આવી છે. હવે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીએ કઈ-કઈ બાબતોની કાળજી લેવી? શું લઈ જવું, શું નહીં? સહિતની મુદ્દે જાણો શિક્ષણવિદ શું કહે છે… પરીક્ષા કેન્દ્રની આગલા દિવસે જ મુલાકાત કરી લેવી…
આ અંગે શિક્ષણવિદ અને આચાર્ય પરેશ શાહે જણાવ્યું હતું કે, રીસીપ્ટ વિદ્યાર્થીઓના હાથમાં આવી ગઈ છે, ત્યારે હવે વિદ્યાર્થીઓએ કેટલીક બાબતોની કાળજી રાખવાની જરૂર છે. પહેલી મહત્વની બાબત એ છે કે, જે પણ પરીક્ષાર્થી એક્ઝામ સેન્ટર પર પરીક્ષા આપવાનો છે, તેનાથી સૌપ્રથમ પરિચિત થાય અને આ પરીક્ષા કેન્દ્ર કેટલું દુર છે તે જાણી લેવું જોઈએ. સાથે આગળના દિવસે આ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ લેવી, જેથી કોઈ મુશ્કેલી ન અનુભવાય. પહેલા દિવસે પરીક્ષા કેન્દ્ર પર 15થી 20 મિનિટ પહેલું જવુ
વધુમાં કહ્યું કે, પહેલા દિવસે જ્યારે પરીક્ષા આપવા જાઓ છો તો 15થી 20 મિનિટ વહેલા જાવ, જેથી પરીક્ષા સેન્ટર પર ગયા પછી બ્લોકથી પરિચિત થઈ શકો. આપ પરીક્ષા આપવા જાઓ ત્યારે આ તમારું એક અપરિચિત સેન્ટર હશે. આપ પરીક્ષા કેન્દ્ર પર જાઓ ત્યારે આપણા બૂટ અને મોજા બોર્ડના નિયમ અનુસાર બહાર ઊતરીને જવાનું રહેશે. આ સાથે સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવનાર છે, ત્યારે પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં એવી કોઈ પ્રવૃતિ ન કરવી જેથી તમને નુકસાન થઈ શકે. પરીક્ષા પૂર્ણ થયા પછી ઓબ્ઝર્વ્ડ સીસીટીવી ફૂટેજ ચકાસશે અને જો આપ કોઈને મદદરૂપ થઈ રહ્યા હતા કે આપ કોઈની મદદ લઈ રહ્યા હતા તો કાર્યવાહી થઈ શકે છે. હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી લેવી ન ભુલવી
વધુમાં કહ્યું કે, આ સાથે એવું કોઈ પણ સાહિત્ય પરીક્ષા ખંડની અંદર ન લઈ જશો કે જેથી પરીક્ષા ખંડમાં આપ મુશ્કેલીમાં મુકાઈ જાઓ. બીજી બાબત આપની સાથે તમે પાણી પારદર્શક બોટલમાં જ લઈ જઈ શકશો. આ સાથે અતિ મહત્વની બાબત છે કે, જ્યારે પણ પરીક્ષા ખંડમાં જાઓ છો ત્યારે હોલ ટિકિટની અંદર સુપરવાઇઝરની પાસે સહી અવશ્ય કરાવો. આ સાથે પરીક્ષા ખંડ આપણે છોડીએ છીએ ત્યારે અવશ્ય કોઈ વસ્તુ લઇ ગયા હોય જેમાં ખાસ રીસીપ્ટ અવશ્ય પરત લઈ લેવી. વર્ગખંડમાં કેલ્ક્યુલેટર-ઘડિયાળ સાદી લઈ જવી
વધુમાં કહ્યું કે, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો થાય છે, ત્યારે સાદુ કેલ્ક્યુલેટર પરીક્ષા ખંડમાં લઈ જવું. ઘડિયાળ પણ સાદી જ લઈ જવી. પરીક્ષા ખંડ છોડ્યા પછી ક્યારેય, ક્યાંય ચર્ચા ન કરો કે પેપર કેવું ગયું અને આગળના પેપરની ચિંતા કરી તૈયારીમાં લાગી જાઉં, જેથી મુશ્કેલી ન પડે.