જો તમે અમદાવાદના માણેકચોકના રાત્રિ ખાણીપીણી બજારમાં ખાવા માટે જવાનું વિચારતા હોય તો હવે તમને એક મહિના માટે માણેકચોકની ભાજીપાવ, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓ ખાવા મળશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મંગળવાર (4 માર્ચ) રાત્રિથી કામગીરી શરૂ કરવામાં આવશે. જે અંદાજે એક મહિના સુધી ચાલશે જેથી રાત્રિ બજાર બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 વર્ષ પહેલા માણેકચોકમાં નાખવામાં આવેલી ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશનની કામગીરી કરવામાં આવનાર છે. જેના કારણે રાત્રિ દરમિયાન માણેકચોક બજાર બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાણીપીણીની બજારની જગ્યામાં મશીનરી મુકી કામગીરી થશે
ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદના માણેકચોક વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવનાર છે જે રાત્રિ દરમિયાન ચાલશે. જેના કારણે માણેકચોકમાં વચ્ચે ખાણીપીણીની બજારની જગ્યામાં મશીનરી મુકી કામગીરી થશે. જેના કારણે રાત્રિના સમયે ચાલતી ખાણીપીણીની બજારને બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. 1 મહિના માટે રાત્રિ ખાણીપીણી બંજાર બંધ
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક અને આસપાસના વિસ્તારમાં 50 વર્ષથી પહેલાંના સમયમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી હતી. આ લાઈન ત્યારબાદ બદલવામાં આવી નથી જેથી વર્ષો જૂની લાઈન હોવાના કારણે ત્યાં ગટર ઉભરાવવાની અને જર્જરિત થઈ ગઇ હોવાના કારણે કરોડો રૂપિયાના ખર્ચે આ લાઈનને રિહેબિલિટેશન કરવામાં આવી રહી છે. માણેકનાથ બાવાની સમાધિ ખાણીપીણી બજાર જે વચ્ચેના ભાગે ભરાય છે તે જ સ્થળ ઉપર ભારે મશીનરી મૂકી અને કામગીરી કરવામાં આવનાર છે. માણેકચોક પોલીસ ચોકીની બાજુમાં પાર્કિંગની જગ્યામાં જ્યાં લારીઓ ઉભી રહે છે ત્યાં પણ કામગીરી થશે જેના કારણે તેને પણ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ એકપણ ખાણીપીણીની લારી એક મહિના સુધી માણેકચોકમાં ચાલુ રહેશે નહીં. CIPP મેથડથી રિહેબિલિટેશનની કામગીરી થશે
શહેરના કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણી અને ડ્રેનેજ લાઈન ઉભરાવાની અવારનવાર ફરિયાદોના પગલે મધ્ય ઝોન દ્વારા ડ્રેનેજ લાઈનોને રિહેબિલિટેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માણેકચોક રાણીના હજીરા, સાંકડી શેરી, મદન ગોપાલ હવેલી, આસ્ટોડીયા રંગાટી બઝારથી આસ્ટોડીયા દરવાજા સી.આઈ.પી.પી મેથડથી રિહેબિલિટેશનની કરવાની કામગીરી થવાની છે. જેમાં માણેક ચોક વિસ્તારમાં ફલો ડાયવર્ઝન તેમજ સી.આઈ.પી.પી લાઈનર નાખવાની કામગીરી કરવામાં આવશે. માણેકચોક વિસ્તારમાં ગલીઓની પહોળાઈ સાંકડી હોવાથી તેમજ અમુક સ્થળે લાઈન રોડની વચ્ચે આવતી હોવાથી મશીનરી મૂકવામાં લોકોને અવર જવરમાં અગવડતા ઊભી થાય જેના કારણે માણેકચોકનો વિસ્તાર બંધ કરવામાં આવશે. અન્ય સ્થળે લારીઓ ઊભી રાખીને વ્યવસાય કરે તેવી શક્યતા
માણેક ચોક વિસ્તારમાં કામગીરી માટે ભારે મશીનરીઓ મૂકવામાં આવશે. લાઈનની કામગીરી કરવા માટે થઈને ત્યાં મશીનરી મુકતા રાત્રિના સમયે ભરાતું ખાણીપીણી બજાર બંધ કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેપારીઓને આપવામાં આવી છે. ડ્રેનેજ લાઈનની કામગીરી અંદાજે એક મહિના જેટલી ચાલશે જેના કારણે થઈને માણેકચોકના રાત્રિ ખાણીપીણી બજારના વેપારીઓ પોતાનો વ્યવસાય કરી શકશે નહીં. રાત્રિ ખાણીપીણી બજાર અન્ય સ્થળે લારીઓ ઊભી રાખીને વ્યવસાય કરે તેવી શક્યતા છે.