વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ પાસે જૂની અશ્વમેઘ હોટલની સામે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક રમેશભાઈ મોતીભાઈ ઝાલા (36)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક યુવાનના ભાઈ હકાભાઈ મોતીભાઈ ઝાલા (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રમેશભાઈ પોતાની બાઇક (GJ 3 BK 6047) લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન આઇસર (GJ 13 W 0609)ના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને બાઇકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં રમેશભાઈને મોઢા પર, ડાબા પગમાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હાલમાં થાનગઢ ખાતે આંબેડકર નગર-4માં રહેતા મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇસરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ PSI વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.