ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. વિધાનસભા સત્ર દરમિયાન યોજાયેલા આ આંદોલનમાં રાજ્યભરમાંથી કર્મચારીઓ જોડાયા છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે છેલ્લા બે વર્ષથી સરકારમાં અનેક રજૂઆતો કરી છે. સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપ્યા બાદ બેઠક પણ યોજાઇ હતી, પરંતુ કોઈ ઠોસ નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીના જણાવ્યા અનુસાર, કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ ગ્રેડ-પે લાગુ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને પગાર સુધારણાનો સમાવેશ થાય છે. MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને આરોગ્ય સુપરવાઈઝર કેડરના કર્મચારીઓની આ માંગણીઓ છે. કોરોના કાળમાં વોરિયર્સ તરીકે કામ કરનારા આ કર્મચારીઓને 130 દિવસનો પગાર મળ્યો છે. ટેકનિકલ અહેવાલ આપ્યા છતાં નિર્ણય વિલંબિત થઈ રહ્યો છે. જો 10 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાંથી જ 300થી વધુ કર્મચારીઓ માસ સીએલ લઈને આંદોલનમાં જોડાયા છે. મંડળ હવે જિલ્લાઓમાં બેઠકો યોજી આગામી આંદોલનની રણનીતિ નક્કી કરશે.