મિહિર ભટ્ટ
‘ગુજરાત ATS ની ઈન્ફોર્મેશન મોડી મળી હોત અને ટીમ સમયસર ન પહોંચી હોત તો અયોધ્યા પર હુમલો થવામાં ત્રણેક દિવસ જ બાકી હતા, કારણ અબ્દુલ રહેમાન ફરીદાબાદથી ગ્રેનેડ લઈને પરત દિલ્હી અને ત્યાંથી અયોધ્યા જ જવાનો હતો’ એજન્સીના અધિકારીએ કહ્યું કે, તેણે લાકડા અને પાઈપથી AK47 જેવું મોડલ તૈયાર કર્યું હતું. શક્ય છે કે આ મોડલથી તે હથિયાર પકડવાની ટ્રેનિંગ પણ લેતો હોય. ગ્રેનેડ ફોડવાની ટ્રેનિંગ પણ ઓનલાઈન વીડિયો જોઈને જ મેળવી હતી. ઉપરોક્ત સ્ફોટક ખુલાસા અને શંકા અબ્દુલ રહેમાનના હરિયાણા અને ગુજરાત પોલીસના સંયુક્ત ઈન્ટ્રોગેશન બાદ વ્યક્ત કરાઈ છે. હજુ પણ અબ્દુલ રહેમાનની પૂછપરછ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ તેના પરિવારે તેમનો દીકરો નિર્દોષ હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. જો કે, પોલીસે પરિવારના સભ્યોથી માંડીને ફોન પર અબ્દુલ રહેમાન સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિનું ઈન્ટ્રોગેશન અને તેમની હિલચાલ પર સર્વેલન્સ વધારી કાઢ્યું છે.
હરિયાણામાં અબ્દુલ રહેમાનની પૂછપરછ કરનારા એક સિનિયર અધિકારીનું કહેવું છે કે, અબ્દુલ રહેમાન પાસેથી અયોધ્યા મંદીર અને ત્યાં સુધી પહોંચતા રસ્તાઓના એવા નકશા મળ્યાં છે કે જેને જોઈને કોઈ અજાણ્યો હુમલાખોર પર હુમલો કરી શકે. દરેક પોઈન્ટ નકશામાં બતાવાયા છે. જેમકે, ક્યાં પોલીસ પોઈન્ટ છે? કેટલા અંતર પરથી વળાંક આવશે? ક્યાં સુરક્ષા ગાર્ડ તહેનાત હશે? ક્યાંથી મંદીરમાં પ્રવેશ થઈ શકે અને ક્યાંથી નીકળી શકાય? સુરક્ષા એજન્સીઓને એ પણ શંકા છે કે, આ નકશા માત્ર અબ્દુલ રહેમાન એકલાએ તૈયાર કર્યા હોય તેવું નથી. તેની સાથે અન્ય લોકો પણ જોડાયેલા જ હશે જેમની વિરૂધ્ધમાં પણ ટૂંક સમયમાં કાર્યવાહી થશે. ઉત્તર પ્રદેશ STFનું અડધા ડઝન સ્થળ પર સર્ચ ઓપરેશન અબ્દુલ રહેમાનની ધરપકડ અને અયોધ્યા રામમંદિર પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યા બાદ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તેમના રાજ્યના અડધા ડઝનથી વધુ સ્થળો પર શંકાસ્પદોના ઘરે અને વેપારના સ્થળોએ સર્ચ કર્યું છે. ઉત્તર પ્રદેશ STF એ છેલ્લા બે દિવસમાં અયોધ્યા ઉપરાંત, ગોંડા, આઝમગઢ, મઉ, શહરાનપુર સહિતના વિસ્તારોમાં સર્ચ કર્યું છે. આ જગ્યાઓ પર અબ્દુલ રહેમાન સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. એજન્સીઓએ સ્વીકાર્યુ…એક વર્ષથી સર્વેલન્સ પણ મદદગાર ન ઓળખાયા
ગુજરાત ATS લગભગ એક વર્ષથી અબ્દુલ રહેમાન પર સર્વેલન્સ કરી રહી હતી. પરંતુ તેના મદદગાર ઓળખાયા નથી. તેની પાછળનું કારણ ષડયંત્ર અને નફરતવાળી ચર્ચાઓ માટે તે ફોન કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની જગ્યાએ રૂબરૂ જ કરતો હતો. માત્ર અયોધ્યાનું રામ મંદિર જ ટાર્ગેટ હતું
સોશિયલ મીડિયાથી ISI ના સંપર્કમાં આવેલા અબ્દુલ રહેમાને હથિયાર ક્યાંથી લાવવા? કેવી રીતે ટ્રેનિંગ લેવી જેવી વિગતો માટે સામેથી પ્રયાસ કરેલા છે. પુરાવા ફોનમાંથી મળ્યાંનો દાવો છે. જો કે, સુરક્ષા એજન્સીઓએ વાત પણ સ્વીકારી છે કે, રામ મંદિર સિવાય તેની પાસેથી અન્ય કોઈ જગ્યા્ના કોઈ પુરાવા મળ્યાં નથી.