યુએસ સુપ્રીમ કોર્ટે ગુરુવારે 2008ના મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો ત્યાં મને સજા આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં, જોકે સુપ્રીમ કોર્ટના જજ એલેના કગાને અરજી ફગાવી દીધી હતી. તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને અમેરિકામાં લશ્કર-એ-તૈયબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. US કોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્ધ અરજી ફગાવી દીધી 13 નવેમ્બર, 2024ના રોજ રાણાએ નીચલી અદાલતના પ્રત્યાર્પણના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. એને 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના પ્રત્યાર્પણને યુએસ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. પ્રત્યાર્પણ ટાળવા માટે રાણા પાસે આ છેલ્લી તક હતી. અગાઉ તેમણે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. અમેરિકન કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. મુંબઈ હુમલાની 405 પાનાંની ચાર્જશીટમાં રાણાનું નામ પણ આરોપી તરીકે નોંધાયેલું છે. આ મુજબ રાણા ISI અને લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. ચાર્જશીટ મુજબ, રાણા હુમલાના મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી રહ્યો હતો. 26 નવેમ્બર 2008એ મુંબઈ પર હુમલો થયો હતો, 166 લોકોનાં મોત થયાં હતાં રાણા-હેડલીએ મુંબઈ હુમલાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી મુંબઈ પોલીસની ચાર્જશીટ મુજબ રાણા ભારત આવ્યા બાદ હુમલાની જગ્યા અને રહેવાની જગ્યાઓ જણાવવામાં આતંકવાદીઓને મદદ કરી રહ્યો હતો. રાણાએ જ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી, જેના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. રાણા અને હેડલીએ આતંકવાદી ષડ્યંત્ર રચ્યું હતું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ હુમલાના ષડ્યંત્રની યોજનામાં રાણાની મોટી ભૂમિકા હતી. રાણાની અપીલ 15 ઓગસ્ટ 2024એ ફગાવાઈ હતી પ્રત્યાર્પણના નિર્ણય સામે રાણાની અપીલ અમેરિકી અદાલતે 15 ઓગસ્ટે ફગાવી દીધી હતી. યુએસ કોર્ટે 15 ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. ભારતને સોંપવામાં ન આવે એ માટે પાકિસ્તાની મૂળના તહવ્વુર રાણાએ યુએસ કોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. જ્યારે કોઈ વ્યક્તિને ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવે ત્યારે હેબિયસ કોર્પસ પિટિશનનો ઉપયોગ કરવામાં આવે છે, જોકે લોસ એન્જલસની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ભારતે જે આરોપોના આધારે તહવ્વુરના પ્રત્યાર્પણની માગ કરી છે એના પર વિચાર કરીને તેના પ્રત્યાર્પણની મંજૂરી આપી શકાય છે. તેની સામે ચુકાદો આવ્યા બાદ રાણાએ નવમી સર્કિટ કોર્ટમાં બીજી અરજી કરી હતી. આ અંગેનો નિર્ણય ગુરુવારે આવ્યો હતો, જેમાં હેબિયસ કોર્પસ પિટિશનનો અસ્વીકાર યથાવત્ રાખવામાં આવ્યો હતો. પેનલે જણાવ્યું હતું કે રાણાના ગુનાઓ યુએસ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ આવે છે. ભારતે હુમલાને લઈને રાણા પર લાગેલા આરોપોના મજબૂત પુરાવા આપ્યા છે. તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર ગયા વર્ષે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર હતો અને તે જાણતો હતો કે હેડલી લશ્કર-એ-તૈયબા સાથે કામ કરે છે. હેડલીને આર્થિક મદદ કરીને તહવ્વુર આતંકવાદી સંગઠન અને તેની સાથેના આતંકવાદીઓને મદદ કરતો હતો. હેડલી કોને મળતો હતો અને શું વાત કરી રહ્યો હતો એની માહિતી રાણા પાસે હતી. તે હુમલાની યોજના અને કેટલાક ટાર્ગેટ્સનાં નામ પણ જાણતો હતો. અમેરિકી સરકારે કહ્યું હતું કે રાણા આ સમગ્ર કાવતરાનો એક ભાગ હતો અને તેણે આતંકવાદી હુમલાને ફંડ આપવાનો ગુનો કર્યો હોવાની સંપૂર્ણ આશંકા છે.