દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે એટલે કે મંગળવારે લેન્ડ ફોર જોબ કેસમાં સુનાવણી થઈ હતી. તમામ આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. સુનાવણી દરમિયાન લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પુત્રી હેમા યાદવ કોર્ટમાં પહોંચ્યા હતા. અગાઉ, સુનાવણી 25 ફેબ્રુઆરીએ થઈ હતી. CBI દ્વારા રજુ કરાયેલી અંતિમ ચાર્જશીટની નોંધ લેતા, કોર્ટે તમામ આરોપીઓને સમન્સ મોકલ્યા હતા. ત્રણેયને 11 માર્ચે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કેસમાં CBIએ લાલુ યાદવ અને અન્ય 78 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં 30 લોક સેવકો આરોપી છે. CBIએ કહ્યું હતું કે, ‘અમે રેલવે બોર્ડના અધિકારી આરકે મહાજન વિરુદ્ધ કેસ કરવા માટે કોર્ટ પાસેથી મંજુરી લીધી છે.’ તેમની વિરુદ્ધ સાક્ષીઓની યાદી પણ તૈયાર છે. આ મામલે કોર્ટ આગળ નિર્ણય લેશે. અગાઉ 16 જાન્યુઆરીના રોજ કોર્ટે કહ્યું હતું કે, ‘જો 30 જાન્યુઆરી સુધીમાં મહાજન વિરુદ્ધ મંજૂરી નહીં મળે, તો સક્ષમ અધિકારીએ તેના માટે ખુલાસો આપવો પડશે.’ જાન્યુઆરી 2024માં લાલુ-તેજસ્વીની પૂછપરછ કરવામાં આવી હતી લેન્ડ ફોર જોબ કેસમાં, 20 જાન્યુઆરી, 2024ના રોજ, EDની દિલ્હી અને પટના ટીમોના અધિકારીઓએ લાલુ અને તેજસ્વી યાદવની 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલુ પ્રસાદને 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે મોટે ભાગે હા કે નામાં જવાબ આપ્યો. પૂછપરછ દરમિયાન લાલુ ઘણી વાર ચીડાઈ ગયા હતા. જ્યારે, તેજસ્વીની 30 જાન્યુઆરીએ લગભગ 10-11 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. 7 પોઈન્ટ્સમાં લેન્ડ ફોર જોબ ડીલનો સમગ્ર ખેલ ડીલ 1: સીબીઆઈની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 6 ફેબ્રુઆરી, 2008ના રોજ પટનાના કિશુન દેવ રાયે પોતાની જમીન રાબડી દેવીના નામે ખૂબ જ ઓછી કિંમતે ટ્રાન્સફર કરી હતી. એટલે કે 3,375 ચોરસ ફૂટ જમીન રાબડી દેવીને માત્ર 3.75 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. સાથે જ તે વર્ષે પરિવારના 3 સભ્યો રાજકુમાર સિંહ, મિથિલેશ કુમાર અને અજય કુમારને સેન્ટ્રલ રેલવે મુંબઈમાં ગ્રુપ ડીની પોસ્ટ પર નોકરી મળી હતી. ડીલ 2: ફેબ્રુઆરી 2008માં, પટનાના મહુઆબાગના સંજય રાયે પણ રાબડી દેવીને 3,375 ચોરસ ફૂટ જમીન માત્ર રૂ. 3.75 લાખમાં વેચી દીધી. સીબીઆઈને તપાસમાં જાણવા મળ્યું કે સંજય રાય સિવાય પરિવારના અન્ય બે સભ્યોને રેલવેમાં નોકરી મળી છે. ડીલ 3: પટનાની રહેવાસી કિરણ દેવીએ નવેમ્બર 2007માં લાલુ યાદવની પુત્રી મીસા ભારતીને તેની 80,905 ચોરસ ફૂટ જમીન માત્ર રૂ. 3.70 લાખમાં વેચી દીધી હતી. આ પછી 2008માં કિરણ દેવીના પુત્ર અભિષેક કુમારને સેન્ટ્રલ રેલવે મુંબઈમાં નોકરી મળી. ડીલ 4: ફેબ્રુઆરી 2007માં પટણાના રહેવાસી હજારી રાયે તેની 9,527 ચોરસ ફૂટ જમીન દિલ્હી સ્થિત કંપની એકે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 10.83 લાખમાં વેચી હતી. બાદમાં હજારી રાયના બે ભત્રીજાઓ દિલચંદ કુમાર અને પ્રેમચંદ કુમારને પશ્ચિમ-મધ્ય રેલવે જબલપુર અને દક્ષિણ-પૂર્વ રેલવે કોલકાતામાં નોકરી મળી. સીબીઆઈને જાણવા મળ્યું છે કે એકે ઈન્ફોસિસ્ટમના તમામ અધિકારો અને સંપત્તિ વર્ષ 2014માં લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને પત્નીને આપવામાં આવી હતી. રાબડી દેવીએ 2014માં કંપનીના મોટાભાગના શેર ખરીદ્યા હતા અને બાદમાં તે કંપનીના ડિરેક્ટર બન્યા હતા. ડીલ 5: પટનાના રહેવાસી લાલ બાબુ રાયે મે 2015માં માત્ર 13 લાખ રૂપિયામાં રાબડી દેવીના નામે તેમની 1,360 ચોરસ ફૂટ જમીન ટ્રાન્સફર કરી હતી. સીબીઆઈએ તપાસ કરતાં જાણવા મળ્યું કે લાલ બાબુ રાયના પુત્ર લાલચંદ કુમારને 2006માં નોર્થ-વેસ્ટર્ન રેલવે, જયપુરમાં નોકરી મળી હતી. ડીલ 6: બ્રિજનંદન રાયે માર્ચ 2008માં તેની 3,375 ચોરસ ફૂટ જમીન ગોપાલગંજના રહેવાસી હૃદયાનંદ ચૌધરીને 4.21 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. હૃદયાનંદ ચૌધરીને વર્ષ 2005માં પૂર્વ-મધ્ય રેલવે હાજીપુરમાં નોકરી મળી હતી. 2014માં હૃદયાનંદ ચૌધરીએ આ જમીન લાલુ પ્રસાદ યાદવની પુત્રી હેમાને ગિફ્ટ ડીડ દ્વારા ટ્રાન્સફર કરી હતી. જ્યારે સીબીઆઈએ તપાસ કરી તો જાણવા મળ્યું કે હૃદયાનંદ ચૌધરી અને લાલુ પ્રસાદ યાદવ દૂરના સંબંધીઓ પણ નથી. તેમજ જે જમીન ભેટમાં આપવામાં આવી હતી તે સમયે સર્કલના દર મુજબ તેની કિંમત 62 લાખ રૂપિયા હતી. ડીલ 7: વિશુન દેવ રાયે માર્ચ 2008માં સિવાનના રહેવાસી લાલન ચૌધરીને તેની 3,375 ચોરસ ફૂટ જમીન આપી હતી. લાલનના પૌત્ર પિન્ટુ કુમારને 2008માં પશ્ચિમ રેલવે મુંબઈમાં નોકરી મળી. આ પછી લાલન ચૌધરીએ ફેબ્રુઆરી 2014માં આ જમીન હેમા યાદવને આપી હતી.