વડોદરા શહેર બહારથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે (18 માર્ચ) વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાસ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ચારે બાજુથી પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. સવારે 6:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી
કપુરાઇ ચાર રસ્તા પાસે વિરાટ એસ્ટેટ આવેલું છે. આ એસ્ટેટની અંદર અલગ અલગ ભંગારના ગોડાઉન આવેલા છે. જે પૈકી પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બિગેડના લાશ્કરો દોડી ગયા હતા અને ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથીઃ ફાયર ઓફિસર
ફાયર ઓફિસર એચ. એ. ગઢવીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને આગની જાણ થતા સ્થળ પર દોડી ગયા હતાં. સૌ પ્રથમ આગને વધુ પ્રસારતા અટકાવવા માટે પાણી મારો ચલાવ્યો હતો. તે બાદ ખુલ્લા ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં લાગેલી આગ ઉપર પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભંગારનો તમામ સામાન બળીને ખાખ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગ પર કાબુ મેળવવા માટે ચારથી પાંચ જેટલા ફાયર એન્જીનો કામે લગાવવામાં આવ્યા હતાં. સતત પાણીમારો ચલાવીને ત્રણ કલાકમાં આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભંગારનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ કેવી રીતે લાગી તે કહેવું હાલ મુશ્કેલ છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ધુમાડાના ગોટેગોટાથી વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ
આજે વહેલી સવારે લાગેલી આજના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતા. નજીકના રહેણાક વિસ્તારોમાં આગના બનાવે ગભરાટ ફેલાવી દીધો હતો. જોકે, આ ગોડાઉનોથી રહેણાંક વિસ્તારોથી દૂર હોવાના કારણે લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ ધુમાડાના ગોટેગોટાએ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો.