અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી એક વેપારીએ આપઘાત કરી લીધો છે. લાઠી રોડ પર વૃંદાવન પાર્કમાં ઓમકાર ડેરી ચલાવતા 70 વર્ષીય સુનિલભાઈ નારણભાઈ સંચાણીયા (ગજ્જર)એ ઝેરી દવા પી લીધી હતી. મૃતકે સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે, ‘મારી આબરૂનો સવાલ છે, હું મરવા જાવ છું, એનું કારણ છે જયેશ પડિયા’.
નાણાની ઉઘરાણીમાં વેપારીની દુકાન પડાવી
આ ઘટનાને વિગતવાર જોઈએ તો જયેશ પડીયા નામના શખ્સે સુનિલભાઈને ગેરકાયદેસર રીતે વગર લાયસન્સે રૂ. 35,000 પાંચ ટકા લેખે વ્યાજે આપ્યા હતા. જોકે, સુનિલભાઈ વ્યાજની રકમ ચૂકવી ન શકતા જયેશભાઈએ તેમની દુકાન પર બળજબરીથી કબજો કર્યો હતો. જેથી આઘાતમાં આવીને સુનિલ સંચાણીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. જોકે, સુનિલે આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. સુસાઈડ નોટમાં શું લખ્યું?
મૃતક પાસેથી મળેલી સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘હુ મરવા જાવ છું, એનું કારણ છે જયેશ પડિયા. મને 35 હજાર 5 ટકા લેખે વ્યાજે આપ્યા હતા. જેની ઉઘરાણી કરી મારી દુકાનમાંથી સામાન ઉપાડી જવા માગે છે, ત્યારે મારી આબરૂનો સવાલ છે એટલા માટે મારે મરવુ પડે છે’. મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી
વ્યાજખોરના ત્રાસના કારણે સુનિલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તાત્કાલિક 108 મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. મૃતકના ભાઈ કિશોરભાઈએ જયેશભાઈ પડીયા સામે ગુજરાત નાણાધીરધાર કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી
સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને PSI કે.એસ.ડાંગરની આગેવાનીમાં તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીની ધરપકડ માટે કવાયત કરી રહી છે.