જામનગર-દ્વારકા જિલ્લાની પીજીવીસીએલ વર્તુળ કચેરીએ વીજબિલ બાકીદારો સામે કડક વસૂલાત ઝુંબેશ શરૂ કરી છે. નાણાકીય વર્ષના અંતિમ સાત દિવસોમાં વીજ તંત્ર દ્વારા 225 ટીમો રચવામાં આવી છે. વીજ તંત્રએ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 5,672 બાકીદારો પાસેથી રૂ. 7.97 કરોડની વસૂલાત કરી છે. બાકી રકમ ન ચૂકવનારા ગ્રાહકોના મીટર ઉતારવા સુધીની કાર્યવાહી બે દિવસથી શરૂ કરવામાં આવી છે. હાલારના બંને જિલ્લાઓમાં છ ડિવીઝનમાં કુલ 3.06 લાખ ગ્રાહકો પાસેથી રૂ. 36.65 કરોડની વસૂલાત બાકી છે. દ્વારકા ડિવીઝનમાં 51,203 ગ્રાહકો પાસેથી રૂ. 9.74 કરોડ, જામજોધપુર ડિવીઝનમાં 33,320 ગ્રાહકો પાસેથી રૂ. 2.24 કરોડ અને ખંભાળિયા ડિવીઝનમાં 40,120 ગ્રાહકો પાસેથી રૂ. 2.79 કરોડ વસૂલવાના છે. જામનગર શહેર-1 ડિવીઝનમાં 64,215 ગ્રાહકો પાસેથી રૂ. 9.14 કરોડ, શહેર-2 ડિવીઝનમાં 68,302 ગ્રાહકો પાસેથી રૂ. 11.28 કરોડ અને જામનગર ગ્રામ્યમાં 49,203 ગ્રાહકો પાસેથી રૂ. 3.44 કરોડની વસૂલાત બાકી છે. વીજ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એચ.ડી. વ્યાસે જણાવ્યું કે, ગ્રાહકોએ બાકી રકમ વહેલી તકે ચૂકવી દેવી જોઈએ. આનાથી વીજ કનેક્શન કપાવાની કાર્યવાહીથી બચી શકાશે. વીજ તંત્રની સિસ્ટમમાં એક રૂપિયાની બાકી રકમ પણ નોંધાય છે.