સુરેન્દ્રનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામનવમીની ભવ્ય શોભાયાત્રા 6 એપ્રિલે નીકળી હતી. રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રા રતનપર અને જોરાવરનગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પરત ફરી હતી. શોભાયાત્રાના માર્ગ પર 250થી વધુ બેનરો અને 1000થી વધુ કેસરિયા ધ્વજથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. યાત્રામાં સૌથી આકર્ષક બાબત 80થી વધુ દીકરીઓએ લાકડી સહિતના કરતબો હતા. આ કરતબો માટે દીકરીઓએ એક મહિના સુધી સખત તાલીમ લીધી હતી. નાસિકથી ખાસ આમંત્રિત 50 લોકોની ટીમે ઢોલ વગાડીને વાતાવરણ જામ્યું હતું. યાત્રામાં વિવિધ સંતો-મહંતોની ઉપસ્થિતિ રહી હતી. જેમાં વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામદાસ, વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્રપ્રસાદ સહિત અનેક ધર્મગુરુઓ જોડાયા હતા. ઉનાળાને ધ્યાનમાં રાખીને યાત્રા દરમિયાન લસ્સી, શરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રાનું સમાપન રામજી મંદિરે ભવ્ય આતશબાજી અને મહાઆરતી સાથે થયું હતું. શોભાયાત્રા અધ્યક્ષ રવિ પટગીર, ઉપાધ્યક્ષ જગભા સોલંકી અને પ્રકાશ પ્રજાપતિ સહિતની સમિતિએ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સામાજીક સમરસતા માટે નાતજાતના વાડા તોડો હિન્દુથી હિંન્દુ જોડો આ વર્ષ રામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ તથા દેવ સેવા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતું. જેમાં હિન્દુ સમાજના દરેક જ્ઞાતિ એક થાય તે માટે સામાજીક સમરસતા માટે નાતજાતના વાડા તોડો હિન્દુથી હિન્દુ જોડોના ધ્યેય સાથે 30 માર્ચથી 6 એપ્રિલ સુધી રામોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં 100થી વધુ વિસ્તારોમાં લોકોના ઘરે ઘરે રામજી મુર્તિ પધરામણી કરી લોકોને રામોત્સવ થકી જોડવામાં આવી રહ્યા હતા.