વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરૂમાલ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 8થી 12 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય ‘સંકલ્પ સનાતન સમારોહ 2025’માં દેશભરના દિગ્ગજો ઉપસ્થિત રહેશે. આજે કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 11 વાગે મંદિરે પહોંચ્યા હતા. તેઓએ ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક અને શિવભક્તોને સંબોધન કર્યું હતું. આ ધામના પ્રણેતા મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે ભાવભાવેશ્વર મહાદેવ ત્રયોદશ જ્યોતિર્લિંગ છે. તેમણે કહ્યું કે આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ભારતને વિશ્વગુરુ બનાવવાનું વૈચારિક આંદોલન છે. મહોત્સવમાં દરરોજ હોમ-હવન અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 એપ્રિલે પંડિત વિનાયક શર્મા હનુમાન ચાલીસા અને હનુમાન ચરિત્ર પર કથા કરશે. પાંચ દિવસના આ કાર્યક્રમમાં વિવિધ દિગ્ગજો હાજરી આપશે. 9 એપ્રિલે રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદન રાઠોડ, 10 એપ્રિલે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, 11 એપ્રિલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને 12 એપ્રિલે RSS પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે દેશ-વિદેશના ભક્તો અને સંતો આ ઉત્સવમાં પધારી રહ્યા છે. આ કાર્યક્રમ ભારતની સનાતન પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો અવસર બનશે.