રાજકોટના એડવોકેટ મેહુલ ત્રિવેદીએ 3 વર્ષ પહેલાં દૂધ દેતી બંધ થયેલી ગાયો માટે ગૌશાળા શરૂ કરી આવી ગાયોને કતલખાને જતી અટકાવવાનું નવું અભિયાન હાથ ધર્યું છે અને હાલમાં દૂધ ન દેતી હોય તેવી 35 જેટલી ગાયનો પોતાની આવકમાંથી તેઓ નિભાવ કરી રહ્યા છે. રાજકોટમાં રહીને વકીલાતના વ્યવસાયની સાથોસાથ છેલ્લા 10 વર્ષથી ગાયોની પણ સેવા કરતાં એડવોકેટ મેહુલ ત્રિવેદીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે ગાયો દૂધ દેતી બંધ થઇ જાય છે તેને માલધારીઓ અથવા તેના જે માલિકો ત્યજી દયે છે અને બાદમાં આ ગાયો કાં તો કતલખાને જાય છે અથવા તો મહાનગરપાલિકાના ઢોર ડબ્બે પૂરી દેવામાં આવે છે અને તેની હાલત વધુ દયજનક બની જાય છે. આવા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યાનું ધ્યાનમાં આવતા ગાયોને બચાવવાનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય 2022માં કર્યો હતો અને તેના ભાગરૂપે શીતલ પાર્ક પાસે આર.કે. વર્લ્ડ વાળી શેરીમાં મહાનગરપાલિકા પાસેથી ઢોર ડબ્બામાં ગૌશાળા માટે 70 બાય 30નો એક શેડ રાખ્યો હતો અને ત્યાં મારા દાદી રૂક્ષ્મણીબેન રવિશંકર ત્રિવેદી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈમિષારણ્ય ગૌશાળા શરૂ કરી છે. આ ગૌશાળા શરૂ કરી ત્યારે ન્યૂ જાગનાથ પ્લોટમાં ડો.દસ્તુરના દવાખાના પાસે એક માલધારી પરિવારની 14 ગાય દૂધ દેતી બંધ થઇ ગઇ હતી અને તેઓ તેનો નિભાવ કરી શકતા ન હતા. આથી તેને આશરો આપી દૂધ ન દેતી ગાયોના અભિયાનનો આરંભ કર્યો હતો. બાદમાં આ બાબતની લોકોને જાણ થવા લાગતા તેઓ દૂધ ન દેતી હોય તેવી ગાયો મારી ગૌશાળામાં મૂકી જાય છે. આ ગાયોના નિભાવ માટે દર મહિને મારે રૂ.60 હજારનો ખર્ચ થાય છે. જેના માટે કોઇ અનુદાન ઉઘરાવતા નથી. મારી આવકમાંથી જ તેનો નિભાવ કરું છું. દૂધ ન દેતી ગાયો માંદી પડે ત્યારે તેમની સારવાર માટે ડો.ભટ્ટ નામના તબીબ ટોકન ચાર્જમાં સેવા આપે છે. 1000 ગાયની ગૌશાળા બનાવવાનું સ્વપ્ન ભવિષ્યમાં કલેક્ટર તંત્ર તરફથી જો અમારી સંસ્થાને ગૌશાળા માટે જમીન ફાળવવામાં આવે તો દૂધ ન દેતી હોય તેવી 1000 ગાય માતાઓ માટે ગૌશાળા બનાવવાનું આયોજન છે. આ ગાયોને અંતિમ સમય સુધી સાચવવાની મારી નેમ છે. મેહુલભાઇ દિવસમાં બે વાર ગૌશાળા જઇને ગાયને ભોજનમાં ભૂસું, કપાસ ખોળ, ઘાસચારો અને અઠવાડિયામાં એક વખત ગોળનું પાણી પોતાના હાથે જ જમાડે છે.