ગુજરાતના 33 જિલ્લાઓમાં ગૃહ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓમાં 3374 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, બંધ સીસીટીવી પાછળના કારણોમાં વાયરિંગમાં ખામી, સિસ્ટમમાં શોર્ટ સર્કિટ, ટેક્નિકલ ખામી અને જૂના બિલ્ડીંગમાંથી નવા બિલ્ડીંગ બનવાના કારણે સીસીટીવી ઇન્સ્ટોલ કરાયા ના હોવાના કારણો જણાવાયા છે. ગૃહ વિભાગની કચેરીઓમાં અમદાવાદમાં સૌથી વધુ 466 સીસીટીવી બંધ હાલતમાં છે. સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ કુલ 11 જિલ્લામાં 100થી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે. જ્યારે કુલ બંધ સીસીટીવીમાંથી 46% માત્ર 5 જિલ્લા, અમદાવાદ, કચ્છ, સુરત, જૂનાગઢ અને ભાવનગરમાં છે. અન્ય જવાબમાં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021થી મે 2023 દરમિયાન ગૃહ વિભાગે સરકારી બેઠકો, મુલાકાતીઓ માટે ચા-નાસ્તા, ભોજન પાછળ 35 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.
સવાલ: જવાબદારો સામે શું પગલાં? જવાબઃ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી | વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે બંધ સીસીટીવી બાબતે જવાબદારો સામે શું પગલાં લેવાયા? તેના જવાબમાં જણાવાયું હતુ કે, પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બંધ સીસીટીવીના કારણોમાં જણાવાયું હતું કે, સીસીટીવી ઉપકરણોમાં તકનિકી ખામી સર્જાતા, વાયરિંગની ખામી, સિસ્ટમમાં શોર્ટસર્કીટની કે અન્ય ટેકનીકલ ખામીઓ, જૂના બિલ્ડીંગમાંથી નવા બિલ્ડીંગ બનેલ હોવાના કારણે ઈન્સ્ટોલ કરવામાં આવેલ ન હોવાના કારણો દર્શાવાયા હતા.
11 જિલ્લામાં 100થી વધુ CCTV બંધ | રાજ્યમાં કુલ 11 જિલ્લામાં 100થી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે. ઉપરોક્ત જિલ્લા સિવાય ગૃહ વિભાગ હેઠળની નવસારીની કચેરીઓમાં 152, પાટણમાં 144, વડોદરામાં 110, પંચમહાલ-ગોધરામાં 107, સુરેન્દ્રનગરમાં 105, ગાંધીનગરમાં 100 સીસીટીવી બંધ હાલતમાં છે. રાજકોટમાં 92, અમરેલીમાં 89, ગીર-સોમનાથમાં 86, જામનગરમાં 82 સીસીટીવી બંધ છે. જાન્યુઆરી 2021થી મે 2023 દરમિયાન ગૃહ વિભાગ માટે સરકારી સમારંભ-બેઠકો, મુલાકાતીઓ માટે ચા, કોફી, ઠંડા પીણા, હળવા નાસ્તા તથા ભોજનના બિલો પાછળ કુલ 35.53 લાખ ખર્ચ કરાયો છે. જેમાં મુખ્યમંત્રીના કાર્યાલય માટે 16.52 લાખ રૂપિયા અને રાજ્યકક્ષાના ગૃહમંત્રીના કાર્યાલય માટે 19.01 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. વિધાનસભા સદસ્ય કેંટીન (એસ.કે.કેટરર્સ) અને વી.આઈ.પી.પેન્ટ્રીને ચૂકવણી કરવામાં આવી છે.