મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા પ્રવાસીઓમાં હરિયાણાના કરનાલના રહેવાસી નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે. તે 3 વર્ષ પહેલાં જ નૌકાદળમાં જોડાયા હતા. તેમના ડેસ્ટિનેશન વેડિંગ માત્ર 7 દિવસ પહેલાં જ મસૂરીમાં થયા હતા. આ પછી તે તેની પત્ની હિમાંશી સાથે હનિમૂન માટે પહેલગામ ગયા હતા. દાદા હવાસિંહે કહ્યું કે પહેલાં વિનય અને હિમાંશી તેમના હનિમૂન માટે યુરોપ જઈ રહ્યાં હતાં. પરંતુ, છેલ્લી ઘડીએ વિઝા કેન્સલ થયા. જેના કારણે તેઓ જમ્મુ અને કાશ્મીર ગયાં. દાદા હવાસિંહે ગળગળા થઈને કહ્યું- જો તેમને યુરોપના વિઝા મળ્યા હોત, તો અમારો પૌત્ર વિનય આજે જીવિત હોત. લેફ્ટનન્ટ વિનય સાથે જોડાયેલી બીજી એક દુઃખદ વાત એ છે કે તેમનો જન્મદિવસ 8 દિવસ પછી 1 મે ના રોજ છે. લગ્ન પછીના પહેલા જન્મદિવસ માટે પરિવારે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ 3 મેના રોજ તેઓ તેમની પત્ની સાથે ડ્યૂટી પર કોચી પાછા ફરવાના હતા. ભાસ્કરે વિનયના પરિવાર સાથે વિસ્તૃત વાતચીત કરી, જેમાં તેમની સંપૂર્ણ કહાની સામે આવી… વિનય-હિમાંશીના 2 ફોટા, 7 દિવસમાં જ સાથ છૂટી ગયો… 7 પોઈન્ટમાં વાંચો, કરનાલના લેફ્ટિનેન્ટ વિનયની સંપૂર્ણ કહાની…. 1. કરનાલની એક શાળામાં અભ્યાસ કર્યો, દિલ્હીથી બી.ટેક કર્યું
વિનય નરવાલ મૂળ કરનાલના ભુસલી ગામનો રહેવાસી છે. પરંતુ તેનો પરિવાર છેલ્લાં 15 વર્ષથી સેક્ટર-7માં રહે છે. તેણે પોતાનું શાળાકીય શિક્ષણ કરનાલની સંત કબીર સ્કૂલમાં કર્યું. ત્યારબાદ તેણે દિલ્હીથી બી.ટેક કર્યું. વિનય અભ્યાસમાં તેજસ્વી હતો. 2. પરિવાર શરૂઆતથી જ સેના સાથે સંકળાયેલો છે
વિનયના દાદા હવાસિંહે કહ્યું, “અમારો પરિવાર શરૂઆતથી જ સેના સાથે જોડાયેલો છે. મારા કાકા પણ આર્મીમાં હતા. વિનયના નાનાના ભાઈ પણ આર્મીમાં રહ્યા અને અંગ્રેજો સાથે લડાઈ લડી. મારો ભત્રીજો પણ આર્મીમાં છે. હું પણ પોતે BSFમાં હતો. ત્યાંથી રિટાયર્ડ થયા પછી હું હરિણાયા પોલીસમાં જોડાયો અને હવે ત્યાંથી પણ રિટાયર્ડ થઈ ગયો છું. 3. CDSમાં સિલેક્ટ ન થયો તો SSBની તૈયારી કરી
પરિવારના આર્મી બેકગ્રાઉન્ડના કારણે વિનયના લોહીમાં પણ દેશસેવાનો ઉત્સાહ હતો. અભ્યાસના દિવસોથી જ તે આર્મીમાં જવા માટે ઇચ્છુક હતો. સ્કૂલ ટાઇમમાં જ તે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ(CDS)ની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તેનું સિલેક્શન થયું નહીં. તે પછી તેણે સીમા સુરક્ષા બળ (SSB)ની તૈયારી શરૂ કરી. 3 વર્ષ પહેલાં તેનું સિલેક્શન નેવીમાં થઈ ગયું. 4. કેરળમાં ફરજ પર હતા, પિતા કસ્ટમ વિભાગમાં હતા
વિનયની ડ્યૂટી કેરળના કોચીમાં હતી. પિતા રાજેશકુમાર કસ્ટમ વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટના પદ પર કાર્યરત છે. તેમની ડ્યૂટી પાનીપતમાં છે. દાદા હવાસિંહ 2004માં હરિયાણા પોલીસથી રિટાયર્ડ થયા હતા. માતા આશાદેવી અને દાદી બીરૂદેવી ગૃહિણી છે. વિનયની નાની બહેન સૃષ્ટિ દિલ્હીમાં સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે. 5. બે મહિના પહેલાં ETOની દીકરી સાથે સંબંધ બંધાયો, 16મીએ લગ્ન થયાં
વિનયનો 2 મહિના પહેલાં જ ગુરુગ્રામની હિમાંશી સાથે સંબંધ નક્કી થયો હતો. હિમાંશી PHD કરી રહી છે અને સાથે જ બાળકોને ઓનલાઇન ભણાવે છે. હિમાંશીના પિતા સુનીલકુમાર ગુરુગ્રામમાં એક્સાઇઝ એન્ડ ટેક્સેશન ઓફિસર (ETO) છે. 28 માર્ચે વિનય લગ્ન માટે રજા લઈને આવ્યો હતો. 16 એપ્રિલે મસૂરીમાં તેમનાં લગ્ન થયાં. 19 તારીખે કરનાલમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. 6. યુરોપના વિઝા કેન્સલ થયા તો કાશ્મીર ફરવા ગયાં
લગ્ન પછી તેમનો યુરોપમાં હનિમૂનનો પ્લાન હતો. તેના માટે વિઝા પણ અપ્લાય કર્યા હતા. પરંતુ વિઝા મળ્યા નહીં અને યુરોપ જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. તે પછી 21 એપ્રિલે બંને જમ્મુ-કાશ્મીર માટે રવાનાં થયાં. 22 એપ્રિલે તેઓ પહેલગામમાં હોટલમાં રોકાયા હતા. દાદા હવાસિંહના જણાવ્યા પ્રમાણે ભોજન કર્યા પછી તેઓ નીચે ડેસ્ટિનેશન પોઇન્ટ પર ફરવા ગયાં હતાં. આ દરમિયાન જ હુમલો થયો. પરિવારે બર્થ ડે સેલિબ્રેશનની તૈયારી કરી હતી, હવે અંતિમ વિદાય થશે
પરિવારના સભ્ય અમિતે જણાવ્યું કે 1 મેના રોજ વિનયનો જન્મદિવસ છે. પરિવારના સભ્યએ વિચાર્યું હતું કે હનિમૂનથી પાછા ફર્યા પછી વિનય માટે એક મોટી પાર્ટી રાખવામાં આવશે. 3 મેના રોજ વિનયને હિમાંશી સાથે કોચીથી પાછા ફરવાનું હતું. ત્યાં તેમણે રેસ્ટ હાઉસ પણ બુક કરાવી રાખ્યું હતું. દાદાએ કહ્યું- મને કહ્યું હતું, વધારે ગળ્યું ખાશો નહીં
દાદાજીએ જણાવ્યું, મને ડાયાબિટીસ છે. જમ્મુ-કાશ્મીર જતી વખતે વિનય અને હિમાંશીએ મને કહ્યું હતું- દાદાજી વધારે ગળ્યું ખાશો નહીં. 28 માર્ચે વિનય રજા લઇને આવ્યો હતો. 4 એપ્રિલે તેની સગાઈ થઈ હતી. 16 એપ્રિલે મસૂરીમાં તેમના ડેસ્ટિનેશનલ લગ્ન થયાં. 19 એપ્રિલે રિસેપ્શન થયું. 20 એપ્રિલે તેઓ હિમાંશી સાથે ગુરુગ્રામ સાસરે આવ્યા. ત્યાંથી જ તેઓ ફ્લાઇટ લઇને જમ્મુ-કાશ્મીર હનિમૂન પર જવા નીકળ્યાં. આતંકી હુમલા બાદ હિમાંશીના 2 PHOTOS…